આતંકી શબ્બીરની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, મંદિરો ઉપર કરવાનો હતો હુમલો
નવી દિલ્હી, 31 માર્ચ 2026: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ઝડપાયેલા પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી શબ્બીર અહેમદ લોને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ધરપકડ પહેલા શબ્બીરે દિલ્હીના પ્રખ્યાત કાલકાજી મંદિર, લોટસ ટેમ્પલ અને છતરપુર મંદિરની રેકી કરી હતી. આ ત્રણેય ધાર્મિક સ્થળોના વીડિયો બનાવી તેણે પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સને મોકલ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આતંકી શબ્બીરે માત્ર મંદિરો જ નહીં, પરંતુ દિલ્હીના હૃદય સમાન ગણાતા કનોટ પ્લેસ અને પહાડગંજ જેવા વ્યસ્ત વિસ્તારોની પણ રેકી કરી હતી. તેણે આ વિસ્તારોના વીડિયો પાકિસ્તાની હેન્ડલર્સને મોકલી દીધા હતા. હાલમાં તે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને તેની સઘન પૂછપરછ ચાલી રહી છે.
પૂછપરછ દરમિયાન શબ્બીરે કબૂલાત કરી છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને લશ્કર-એ-તૈયબા મળીને બાંગ્લાદેશમાં ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) જેવું નવું આતંકી સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં તે આ સંગઠન માટે યુવાનોની ભરતી (રિક્રુટમેન્ટ) અને નવા મોડ્યુલને એક્ટિવ કરવાના મિશન પર હતો.
સ્પેશિયલ સેલના સૂત્રો મુજબ, શબ્બીર ગેરકાયદેસર રીતે નેપાળ સરહદ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો. તેના સંપર્કોમાં પાકિસ્તાન સ્થિત લશ્કરના હેન્ડલર્સ અબુ હુઝૈફા, સુમમ બાબર અને અબ્દુલ રહેમાન સામેલ હતા. આ ઉપરાંત, તે પ્રતિબંધિત સંગઠન તેહરીક-ઉલ-મુજાહિદ્દીનના કમાન્ડર અબુ તલ્હા અને નામચીન આતંકી આસિફ ડારના પણ સતત સંપર્કમાં હતો.
પોલીસે શબ્બીર પાસેથી બાંગ્લાદેશી અને પાકિસ્તાની કરન્સી, એક લેપટોપ અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. તેની ધરપકડ ગાઝીપુર વિસ્તારમાંથી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ ધરપકડ દ્વારા રાજધાની પર તોળાઈ રહેલી મોટી આતંકી ઘટનાને નિષ્ફળ બનાવી હોવાનો દાવો કર્યો છે.


