સુરતના કારખાનામાં લાગી ભિષણ આગ, 100થી વધારે કર્મચારીઓને કરાયાં રેસ્ક્યૂ
અમદાવાદઃ સુરતના ભાવની સર્કલ નજીક એક કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં કારખાનાના લગભગ 100થી વધારે કર્મચારીઓ ફસાયા હતા. તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આગ ઓલવવાની કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડનો એક જવાન ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ભાવની સર્કલ નજીક એક કારખાનામાં અચાનક આગ લાગી હતી. કારખાનાના બીજા માળે લગભગ 125 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા. કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગતા કર્મચારીઓ ફસાયાં હતા. બીજી તરફ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની 10થી વધારે ગાડીઓ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. તેમજ ફસાયેલા કર્મચારીઓને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમોએ ભારે જહેમદ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, આગ ઉપર કાબૂ મળવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગનો એક કર્મચારી ગંભી રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારખાનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયરબ્રિગેડ દ્વારા આગનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી.