લોકસભામાં પબ્લિક એક્ઝામિનેશન સંશોધન બિલ, 2026 રજૂ, વિપક્ષનો હંગામો
નવી દિલ્હી, 27 જુલાઈ 2026: દેશભરમાં નીટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં અત્યંત કડક ‘પબ્લિક એક્ઝામિનેશન સંશોધન વિધેયક, 2026’ રજૂ કર્યું છે. રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આ નવા બિલમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ આચરનારા માફિયાઓ અને શખ્સો સામે અગાઉ કરતા પણ અનેકગણી કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ નીટ પેપર લીક મામલે વિપક્ષે આજે સોમવારે પણ હંગામો કરતા લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
-
નવા બિલની મુખ્ય જોગવાઈઓ
પ્રસ્તાવિત સંશોધન મુજબ જો કોઈ વ્યક્તિ પેપર લીક અથવા જાહેર પરીક્ષામાં ગેરરીતિ આચરતા પકડાશે, તો તેને ઓછામાં ઓછી 5 થી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સાથે જ 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. જો આખો કેસ કોઈ સંગઠિત ગુના (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) સાથે જોડાયેલો હશે, તો દોષિતોને ઓછામાં ઓછી 7 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે પેપર લીક સંબંધિત મામલાઓની તપાસ માત્ર બે મહિનાની અંદર પૂર્ણ કરવી પડશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે, જ્યાં ચાર્જશીટ દાખલ થયાના માત્ર ત્રણ મહિનાની અંદર કેસનો નિકાલ લાવવામાં આવશે અને રોજિંદી સુનાવણી હાથ ધરાશે. કેન્દ્ર સરકાર જરૂર પડ્યે સંવેદનશીલ અને મોટા પેપર લીક પ્રકરણીની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના પણ કરી શકશે. પરીક્ષા કેન્દ્રોનું પ્રી-ઓડિટ, ઉમેદવારોની બાયોમેટ્રિક ચકાસણી, સીટ ફાળવણીની આધુનિક વ્યવસ્થા અને પ્રશ્નપત્રોને સુરક્ષિત રીતે અપલોડ કરવા સહિત કુલ 15 પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓને ફોજદારી અપરાધના ઘેરાવામાં લાવવામાં આવી છે.
-
વિપક્ષનો હોબાળો
બિલ રજૂ થયા બાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી નેતાઓને આ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ વિપક્ષી સાંસદો દ્વારા પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં સતત નારેબાજી ચાલુ રાખવામાં આવી હતી. સતત હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી બસ્થગિત કરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે કોકરોચ જનતા પાર્ટી (CJP) સહિતના સંગઠનોના લાંબા આંદોલન અને તત્કાલીન શિક્ષણ પ્રધાનના રાજીનામા બાદ સરકારે આ કાયદો લાવીને પરીક્ષા પદ્ધતિને સંપૂર્ણપણે ‘લીક-પ્રોફ’ બનાવવાની દિશામાં મોટું ડગલું ભર્યું છે.


