1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં AAP-BTP જોડાણઃ અરવિંદ કેજરિવાલ 1લી મેએ આદિવાસી સંમેલનને સંબોધશે
ગુજરાતમાં AAP-BTP જોડાણઃ અરવિંદ કેજરિવાલ 1લી મેએ આદિવાસી સંમેલનને સંબોધશે

ગુજરાતમાં AAP-BTP જોડાણઃ અરવિંદ કેજરિવાલ 1લી મેએ આદિવાસી સંમેલનને સંબોધશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ જુદા જુદા જ્ઞાતિ સંમેલનો, મેળાવડા યોજીને લોક સંપર્ક કરી રહ્યા છે. આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. બંને પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. જેને લઈને બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદમાં આપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ સંયુક્તરીતે જણાવ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીટીપી અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને લડશે. કેજરિવાલ 1લીમેએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બીટીપીના અધ્યક્ષ છોટુવસાવા સાથે ગઠબંધન અંગે ચર્ચા કરશે. ત્યારબાદ આદિવાસી સંમેલનને પણ સંબોધશે.

આપના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, ભૂતકાળની તમામ સરકારો કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વર્ષો સુધી આવતી રહી પરંતુ આદિવાસીઓના પાયાના પ્રશ્નોને વાચા મળી નથી. શિક્ષણ, રોજગાર અને જળ-જમીન જંગલ હોય. તેમના પ્રશ્નો આજે પણ ત્યાંને ત્યાં છે. આ તમામ પ્રશ્નોને લઈને આદિવાસી સમાજ લાચાર બન્યો છે. ત્યારે એક નવી દિશામાં આગળ વધીને આદિવાસીઓના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તર પર વાચા મળે, તેના પર ચર્ચા થાય તેવા પ્રયાસોથી BTPના છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા સાથે ચર્ચા થઈ હતી.

બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કામ જોયું છે. દિલ્હીમાં રોજગારીની વાત, પાણીની વાત અને શિક્ષણ વિશે જાણ્યું છે. અમે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે મળ્યા છીએ. આ સરકારે સ્કૂલો બંધ કરીને આદિવાસી સમાજને નુકસાન કર્યું છે. કોંગ્રેસ પણ લોકશાહી બચાવવા આંદોલન કરે છે, પરંતુ તેમની સરકારમાં તેમણે શું કર્યું? ગામડામાં આદિવાસીઓ ઘર છોડી રહ્યા છે. 1લી મેએ AAP અને BTP બંને એક થશે. ગુજરાત સ્થાપના દિવસે અમે નવા ગુજરાતનું મોડલ આપીશું.

આપના અરવિંદ કેજરિવાલ પણ તા. 1લી મેએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને ભરૂચમાં છોડુભાઈ વસાવા સાથે બેઠક યોજશે. કેજરિયાવાલ આદિવાસીઓના સંકલ્પ સંમેલનને પણ સંભોધશે. અત્રે ઉલ્લેખનીય છે કે,  બીટીપીના અગ્રણી  છોટુ વસાવાએ કેટલાક દિવસ પહેલા  દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત પણ કરી હતી. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ AAPમાં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને BTP વચ્ચે ગઠબંધન કરાશે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BTPએ AIMIM સાથે ગઠબંધન કર્યું હતું. વર્ષ 2021માં ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટુ વસાવા અને મહેશ વસાવાની પાર્ટી BTPએ અસદુદ્દીન ઔવેસીની AIMIM સાથે ગઠબંધન કર્યું હતું. જો કે, બંને પાર્ટીને કોઈ ખાસ સફળતા મળી ન હતી. જ્યારે પંજાબમાં ધમાકેદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે BTPએ AAP સાથે ગઠબંધન થવા જઈ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code