અમદાવાદ-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 3ના મોત
અમદાવાદઃ ચોટીલાથી દર્દીને લઈને રાજકોટ જઈ રહેલી એમ્બ્યુલન્સને માર્ગમાં અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં એમ્બ્યુલના ચાલક અને દર્દીના બે સંબંધીના મૃત્યુ થયાં હતા. ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલાની હોસ્પિટલમાં સારવારહ લેતા દર્દીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. જેથી દર્દીના સ્વજનો તેને એમ્બ્યુલન્સમાં લઈને રાજકોટ જવા નીકળ્યાં હતા. દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા નજીક જ પૂરઝડપે પસાર થતી ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એમ્બ્યુલન્સમાં સવાર દર્દી અને તેમના સ્વજનોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ દૂર્ઘટનામાં એમ્બ્યુલન્સનો ચાલક વિજય બાવળિયા, અને દર્દીના સ્વજન પાયલ મકવાણા અને ગીતાબેન મિયત્રાનું મોત થયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ત્રણેય મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.
(PHOTO-FILE)