અયોધ્યામાં ડ્રોન મળતા તંત્ર સાબદુ બન્યું, હાઈ એલર્ટ જાહેર
ઉત્તરપ્રદેશઃ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં ડ્રોન મળતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કેંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિક્રમા માર્ગના કિનારે મોડી સાંજે ડ્રોન જોવા મળ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આતંકવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ ડ્રોનને લઈને અયોધ્યામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઠેર-ઠેર તપાસ શરૂ કરવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસના ડોગ સ્કવોડ, બીડીડીએસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ડ્રોનની તપાસ કરી હતી. ડ્રોનમાંથી શંકાસ્પદ મળ્યું ન હતું પરંતુ ડ્રોનમાં લાગેલા કેમેરામાં અયોધ્યાના ફોટોગ્રાફ અને વીડિયો મળી આપતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. મોટાભાગના ફોટો રેલવે ટ્રેસની આસપાસના છે.
અયોધ્યા પોલીસે જ્યારે રેલવેનો સંપર્ક કર્યો તો માલુમ પડ્યું કે, રેલવેમાં કામ કરતી એક ફર્મમાં ઓપરેટર દ્વારા ડ્રોન ઉડાવવામાં આવ્યું હતું. મંજુરી વિના ડ્રોન ઉડાવવામાં આવ્યું હોવાથી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ રેલવેમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા અધિકારી અને કર્મચારીઓની પૂછપરછ આરંભી છે.