1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેશનલ ગેઈમ્સને લીધે અમદાવાદ શહેરને નવોઢાની જેમ 3.50 કરોડના ખર્ચે શણગારાશે
નેશનલ ગેઈમ્સને લીધે અમદાવાદ શહેરને નવોઢાની જેમ 3.50 કરોડના ખર્ચે શણગારાશે

નેશનલ ગેઈમ્સને લીધે અમદાવાદ શહેરને નવોઢાની જેમ 3.50 કરોડના ખર્ચે શણગારાશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યના છ મહાનગરોમાં વિવિધ સ્થળોએ આ ગેમ્સ રમાશે. જેમાં અમદાવાદના 8 જેટલા સ્થળોએ પણ આ ગેમ્સનું આયોજન કરાયું છે. અમદાવાદ શહેરમાં નેશનલ ગેઈમ્સમાં ભાગ લેવા અનેક ખેલાડીઓ બહારથી આવવાના હોવાથી શહેરની એક અલગ ઓળખ ઊભી થાય તે માટે શહેરને નવોઢાની જેમ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 3.50 કરોડનો ખર્ચ કરી અને એરપોર્ટ તેમજ જે પણ સ્થળોએ નેશનલ ગેમ્સ રમવાની છે ત્યાં લાઇટિંગ કરવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. શહેરના મોટેરા સ્ટેડિયમ અને આસપાસના રોડ, સાબરમતી રિવરફ્રન્ટ, ખાનપુર રાઇફલ કલબ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ,કેન્સવિલે તેમ જ તમામ બ્રિજો 29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી રોશનીથી ઝળહળી ઉઠશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવશે. 12 ઓક્ટોબર સુધી આ નેશનલ ગેમ્સ રમવાની છે, ત્યારે અમદાવાદ શહેરને રોશનીથી શણગારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14 દિવસ માટે અમદાવાદ એરપોર્ટ ત્યાંથી મુખ્ય રસ્તાઓ, ખેલાડીઓના હોટલના રોકાણના સ્થળો તેમજ અમદાવાદના બ્રિજ વગેરે જગ્યાએ ટેમ્પરરી લાઇટિંગ કરવા માટે રૂ. 3.50 કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદે મંજૂર કરવામાં આવી હતી. જેથી શહેર આગામી 14 દિવસ માટે રાત્રે રોશનીથી ઝળહળી ઉઠશે.

વડાપ્રધાન મોદી આગામી 29 અને 30મી સપ્ટેમ્બરે અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ શહેરમાં જ્યાંથી પસાર થશે તે વિસ્તારના માર્ગો ભપકાદાર રોશનીથી ઝળહળતા કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદી તા. 29મીએ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા ગાંધીનગર રાજભવનથી વાયા ઇંદિરાબ્રિજ થઈ મોટેરા સુધીના સમગ્ર વિસ્તારમાં રોશની કરવામાં આવશે. તા.30મીએ વડાપ્રધાન મોદી મેટ્રોરેલનું ઉદ્ઘાટન કરવાના છે તે થલતેજ ટી.વી. ટાવર જતા ડ્રાઇવઇન રોડ પર પણ ભવ્ય રોશની કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code