1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના કાળીગામ ગરનાળામાં છેલ્લા એક સપ્તાહથી ભરાયેલા પાણીને લીધે રસ્તો બંધ
અમદાવાદના કાળીગામ ગરનાળામાં છેલ્લા એક સપ્તાહથી ભરાયેલા પાણીને લીધે રસ્તો બંધ

અમદાવાદના કાળીગામ ગરનાળામાં છેલ્લા એક સપ્તાહથી ભરાયેલા પાણીને લીધે રસ્તો બંધ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે હજુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ખાસ કરીને ગરનાળામાં ભરાયેલા પાણી ઉકરતા સમય લાગતો હોય છે. જેમાં કાળીગામમાં આવેલા ગરનાળામાં તો છેલ્લા એક સપ્તાહથી પાણી ભરાવાના લીધે ગરનાળા નીચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

શહેરના કાળીગામ વિસ્તારમાં આવેલા ગરનાળામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી પાણી ભરાયેલું છે અને ગટરનું તેમજ વરસાદી પાણી ભેગું થવાથી ગરનાળુ સ્વિમિંગ પૂલ બની ગયું છે. આ ગરનાળું ગંદકીના પાણીથી ભરેલું છે છતાં પણ પાણીનો નિકાલ કરાયો નથી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ત્યાં પંપ મૂકવામાં આવ્યા છે પરંતુ તે હાલમાં કાર્યરત નથી. ગંદા પાણીથી ગરનાળું ભરેલું હોવાથી હાલમાં વાહનચાલકો અને સ્થાનિક લોકો માટેનો રસ્તો બંધ કરાતા આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કાળીગામ ગરનાળામાં ગટરના ગંદા પાણી ભરાવાનો પ્રશ્ન છેલ્લા અનેક વર્ષોથી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે મ્યુનિસિપલ કમિશનરો અને ત્રણથી વધુ મેયરો બદલાઈ ચૂક્યા છે. છતાં પણ આજદિન સુધી ભાજપના શાસકો અને અધિકારીઓ આ ગરનાળામાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉકેલી શક્યા નથી. સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ છેલ્લા બે ટર્મથી આ વિસ્તારના ધારાસભ્ય છે છતાં પણ તેઓ કાળીગામ વિસ્તારને શહેરમાં જવા તરફના રસ્તાને જોડતા આ ગરનાળાની સમસ્યાને દૂર કરી શક્યા નથી. ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ગરનાળામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં રસ કેમ નથી ? શું પંપ મૂકી કાગળ પર દેખાડવામાં જ આવે છે?

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કાળીગામ વિસ્તારમાં ખાદ્ય પુરવઠા નિગમનું મોટું બોર્ડ આવેલું છે અને અમદાવાદમાં આ પુરવઠો લઈ જવા માટે દર બે દિવસે મોટી સંખ્યામાં ટ્રકોની આવન-જાવન ગરનાળામાં થતી હોય છે. ત્યારે આ પાણી ભરાયેલું હોવાથી ટ્રકોને પણ ફરીને જવુ પડે છે. સ્થાનિક રહીશોના કહેવા મુજબ કાળીગામ વિસ્તારના ગરનાળાનો પ્રશ્ન વર્ષોથી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચૂંટાયેલા કોર્પોરેટરો અને ધારાસભ્યોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ તેઓ આ ગરનાળાના પાણીનો નિકાલ લાવી શકતા નથી. ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ પડે ત્યારે આ ગરનાળું પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ જાય છે અને કાળીગામથી રાણીપ અને સુભાષબ્રિજને જોડતો આખો રસ્તો બ્લોક થઈ જાય છે. પાણી ભરાય ત્યારે તેને કાઢવા માટે કોર્પોરેશન દ્વારા પંપ મૂકી અને પાણી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે છતાં પણ પૂરેપૂરું પાણી ત્યાંથી દૂર કરવામાં આવતું નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code