જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર, શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો
અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે જનતાના ખીસ્સા ઉપર અસર પડી છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થયો છે જેની સીધી અસર જનતા ઉપર પડી રહી છે. હવે શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાની અસર જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપર પણ જોવા મળી રહી છે. ડુંગળીનો ભાવ 25 રૂપિયા હતો તે વધીને 60 રૂપિયા થયો છે. અન્ય શાકભાજીનો ભાવ પણ 75 રૂપિયે પહોચ્યો છે. લીબુંનો ભાવ 30થી વઘીને 75 થયો છે. આ ઉપરાંત કઠોળ અને ચ્હાના ભાવ પણ આસમાને પહોચી રહ્યાં છે. આમ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા પ્રજાની ઉપર બોજો વધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડિઝલ ઉપરાંત ગેસના સિલિન્ડરના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. આ મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ થઈ રહ્યાં છે. બીજી તરફ કોરોનાને કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરતી પ્રજાની મુશ્કેલીમાં વધારો થયો છે.