બલૂચોના આંદોલનથી પાકિસ્તાનને વધુ એક બાંગ્લાદેશનો ડર, પીએમ કાકરે કહ્યુ-ભારતનો હાથ
નવી દિલ્હી: પાકિસ્તાનમાં બલૂચોનું સ્વતંત્રતા આંદોલન જોર પકડી રહ્યું છે. બલૂચ યુવકો પર આંતકવાદના આરોપ લગાવીને હત્યા કરવાના મામલાઓથી ભડકેલા લોકો ગત બે સપ્તાહથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદને ઘેરીને બેઠા છે. લગભગ 1600 કિલોમીટર લાંબી માર્ચ કરીને રાજધાની ઈસ્લામાબાદ પહોંચેલા બલૂચ હવે કાર્યવાહક પીએમ અનવરુલ હક કાકરના નિવેદન પર વધુ ભડક્યા છે. કાકરે મંગળવારે બલૂચ આંદોલનકારીઓને આતંકવાદીઓના ટેકેદાર ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે આ લોકો ભારતની શેહ પર અહીં એકઠા થયા છે. તેમમે આ આંદોલનની પાછળ રૉનો હાથ હોવાનું જણાવ્યું હતું, તેમાં બલૂચ ભડકી ગયા છે અને ઈસ્લામાબાદ બંધનું એલાન પણ આપ્યું છ.
બલૂચ આંદોલનકારીઓનું કહેવું છે કે પીએમ અનવર ઉલ હક કાકરનું નિવેદન તેમનો ડર જાહેર કરી રહ્યું છે. હજારો બલૂચો કે જેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે, તેઓ ઈસ્લામાબાદમાં ડેરાતંબુ નાખીને બેઠા છે. સુરક્ષાદળો તરફથી તમામ કડકાઈ કરાયા બાદ પણ આ લોકોએ વાપસીનો ઈન્કાર કર્યો છે. આ લોકોનો આરોપ છે કે પાકિસ્તાની સુરક્ષાદળો નિર્દોષ બલૂચોને નિશાન બનાવી રહ્યા છે. મોટી સંખ્યામાં બલૂચ યુવકો ગાયબ થયા છે અથવા તેમની હત્યા કરવામાં આવી છે. તો હવે પીએમ અનવર ઉલ હક કાકરના નિવેદને બળતામાં ઘી હોમ્યું છે. કાકરના નિવેદનથી એ પણ સ્પષ્ટ થયું છે કે તેમને બલૂચ આંદોલનથી બાંગ્લાદેશ જેવો ડર સતાવી રહ્યો છે.
મંગળવારે તેમણે પોતાના નિવેદનમાં એ પણ કહ્યુ કે બલૂચ આંદોલનકારી ભૂલી રહ્યા છે કે આ ન તો 1971 છે અને ન તો તે પાકિસ્તાન છે. આ લોકોએ યાદ રાખવુ જોઈએ કે બાંગ્લાદેશ બનવા જઈ રહ્યું નથી. કાકરે તો આ આંદોલનકારીઓની સરખામણી આતંકીઓ સાથે કરી છે.
કાકરે કહ્યુ છે કે અમે હજીપણ તેમના આંદોલનના અધિકારનું સમ્માન કરી છીએ, કારણ કે તેમના પોતાના લોકો ગાયબ થયા છે. પરંતુ તેમણે એ સમજવું જોઈએ કે તે દેશની વિરુદ્ધ ઉભા છે ને રૉનો સહારો લઈ રહ્યા છે. આ આંદોલનને ભારતે ફંડિંગ કર્યું છે. આ વિદેશી મદદથી ચાલનારું સશસ્ત્ર વિદ્રોહ છે.
પાકિસ્તાની પીએમ કાકરના નિવેદનથી એ સ્પષ્ટ છે કે તેમને બલૂચ આંદોલનથી બાંગ્લાદેશવાળો ડર સતાવી રહ્યો છે. બાંગ્લાદેશની મુક્તિની પાછળ પણ પાકિસ્તાન ભારતને જ જવાબદાર ઠેરવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની કારમી હાર થઈ હતી અને તેના 90 હજારથી વધારે સૈનિકોએ ભારતની સામે હથિયારો મૂકીને સરન્ડર કર્યું હતું.
આ યુદ્ધના પરિણામે બાંગ્લાદેશ તરીકે અલગ દેશ બન્યો હતો. આ દેશ ક્યારેક પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો. આ પ્રકારે પાકિસ્તાન પોતાની રચનાના 24 વર્ષે જ વિભાજીત થયું હતું. મહત્વપૂર્ણ છે કે બલૂચ પણ આઝાદીની માગણી સાથે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. તેઓ પોતાને અલગ ઓળખવાળા ગણાવે છે અને પાકિસ્તાન પર ઉત્પીડનનો આરોપ લગાવે છે.