- ગાંગુલીને કાલે હોસ્પિટલમાંથી અપાશે રજા
- છાતીના હળવા દર્દ બાદ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
- પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલત સ્થિર
દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલત સ્થિર છે અને તેમને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
વુડલેન્ડ્સ હોસ્પિટલના એમડી અને સીઈઓ રૂપાલી બાસુએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ ડોકટરોના નવ સભ્યોના બોર્ડમાં સોમવારે ગાંગુલીના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરવામાં આવી અને તેના પર સહમતી બની કે તેમની હાલત સ્થિર છે. તેથી, તેમની જે એન્જીયોપ્લાસ્ટી થવાની હતી,તેને થોડા સમય માટે ટાળવામાં આવી શકે છે. અને ગાંગુલીને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે,તેમને દરરોજ ઘરે તબીબી સંભાળ આપવામાં આવશે.
48 વર્ષીય ગાંગુલીને શનિવારે હળવો હાર્ટ એટેક આવ્યા બાદ કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૃદય તરફ જતી તેની ત્રણ મોટી ધમનીઓમાં અવરોધ જાણવા મળ્યા હતા, જેને ‘ટ્રિપલ વેસલ ડિસીઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દરમિયાન કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર ગાંગુલીને મળવા પહોંચ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે, બીસીસીઆઈ પ્રમુખ જલ્દીથી સામાન્ય જીવનમાં પરત ફરે. તેમણે કહ્યું કે,”દાદા તો દેશના નાયક છે. તેણે ક્રિકેટમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. અને તેના વિરોધીઓને ઘણી વાર પરાજિત કર્યા છે. આ વખતે પણ તે આવું જ કરશે.
ઠાકુરે કહ્યું કે,આજે જ્યારે હું સૌરવને મળ્યો ત્યારે તે હસી રહ્યા હતા.અને તે સરસ લાગતા હતા.હું જાણું છું કે, તે જલ્દીથી સામાન્ય જીવનમાં પાછા ફરશે. અને ભારતીય ક્રિકેટને નવા સ્તરે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. તેઓએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે, પહેલા બીસીસીઆઈમાં અને પછી દેશના અન્ય ઘણા ક્ષેત્રોમાં. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પણ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી.
લાંબા સમયથીના ગાંગુલીના પારિવારિક મિત્ર રહેલા ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, કેટલાક લોકો ગાંગુલીનો રાજકીય રીતે ઉપયોગ કરવા માંગતા હતા. કદાચ તેમના પર દબાણ વધ્યું. તે કોઈ રાજકીય વ્યક્તિ નથી. તેણે સૌરવને ખેલ નાયકના રૂપમાં જોવા જોઈએ. ગાંગુલીની તબિયત બગડવા પર ભારતીય ક્રિકેટરોએ ટવિટ કરીને તેમને જલ્દીથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ ગાંગુલીની તબિયત ઠીક થવાને લઈને ટવિટ કર્યું હતું.