બંગાળ ચૂંટણી 2026: TMC કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે ઘર્ષણ, દેશી બોમ્બ ફેંકાયો
કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અહીં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના કાર્યકરો અને ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’ (એયુજેપી)ના સ્થાપક હુમાયુ કબીર વચ્ચે જોરદાર અથડામણ થતા વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કબીર અગાઉ થયેલા બોમ્બ વિસ્ફોટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ, મુર્શિદાબાદના એક વિસ્તારમાં મતદાનના આગલા દિવસે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ હતો. આજે મતદાનના દિવસે હુમાયુ કબીર જ્યારે આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા અને સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર ટીએમસી કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. બંને પક્ષો વચ્ચે શરૂ થયેલી શાબ્દિક બોલાચાલી જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. સુરક્ષા દળોએ તુરંત હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને હુમાયુ કબીરને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢ્યા હતા.
-
બોમ્બ હુમલાનો ભોગ બનેલાઓએ હુમાયુ કબીર ઉપર કર્યાં આક્ષેપ
બીજી તરફ, બોમ્બ હુમલાનો ભોગ બનેલા સ્થાનિક રહેવાસીઓએ હુમાયુ કબીરની પાર્ટી પર જ હુમલો કરવાનો આક્ષેપ કર્યો છે. એક મહિલા પીડિતાએ જણાવ્યું કે, જ્યારે તે નમાજ પઢીને બહાર આવી રહી હતી ત્યારે કેટલાક શખ્સોએ બોમ્બ ફેંક્યા હતા. જોકે, હુમાયુ કબીરે આ તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, “ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થવી જોઈએ અને અમારો કોઈને ડરાવવાનો કે મારવાનો કોઈ ઈરાદો નથી.”
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં મુર્શિદાબાદ અને માલદા જેવા જિલ્લાઓને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ચૂંટણી પંચે મુર્શિદાબાદમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દીધી છે અને વધારાની સેન્ટ્રલ ફોર્સની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. હુમાયુ કબીર અગાઉ ટીએમસીમાં જ હતા, પરંતુ મતભેદોને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેમણે પોતાની અલગ પાર્ટી બનાવી છે. મુર્શિદાબાદમાં તેમનો અને ઓવૈસીની એઆઈએમઆઈએમ વચ્ચેનું ગઠબંધન ટીએમસી માટે મુસ્લિમ મતોના વિભાજનનો મોટો પડકાર ઉભો કરી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં સતત ઘર્ષણ જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુર્શિદાબાદ જિલ્લાના નાઓડા વિસ્તારમાં એક હિંસક ઘટના બની છે. અહેવાલો અનુસાર, મતદાન પહેલાં અજાણ્યા વ્યક્તિઓએ ક્રૂડ બોમ્બ ફેંક્યા હતા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં ચાર બાળકો સહિત 11 લોકોના મોત


