દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો પ્રારંભ
દ્વારકા, 03 ફેબ્રુઆરી 2026 – Bharat Ranbhumi Darshan campaign સશસ્ત્ર દળોના સહયોગથી દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો આજે 3 જાન્યુઆરીને મંગવારે પ્રારંભ થયો છે. 3,400 કિ.મી.ના આ અભિયાનમાં સશસ્ત્ર દળોના જવાનો ઉપરાંત નાગરિકો પણ જોડાયા છે.
ગનર્સ (Gunners)ની વીરતા, બલિદાન અને અદમ્ય જુસ્સાને શ્રદ્ધાંજલિ આપવા માટે, રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ (BSF)ના ગનર્સના સહયોગથી આયોજિત ‘ભારત રણભૂમિ દર્શન અભિયાન’ ને તેલંગાણાના રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્માએ 03 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના ઐતિહાસિક શહેર દ્વારકાથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

શું છે આ અભિયાન?
આ પ્રસ્થાન સમારંભમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, નિવૃત્ત સૈનિકો, નાગરિક વહીવટીતંત્રના પ્રતિનિધિઓ, NCC કેડેટ્સ, શાળાના બાળકો અને દ્વારકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉત્સાહભરી પ્રસ્તુતિએ સશસ્ત્ર દળો અને તેઓ જે લોકોનું રક્ષણ કરે છે તેમની વચ્ચેના અતૂટ બંધનને રેખાંકિત કર્યું હતું. સાહસ અને બલિદાનના વારસાને સાથે લઈને જ્યારે અભિયાન ટુકડીએ આ ઐતિહાસિક પ્રવાસની શરૂઆત કરી ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના જોશથી ભરાઈ ગયું હતું.
Bharat ran bhoomi darshan expedition (D2D)
Hon’ble Governor of Telangana Shri Jishnu Dev Varma flagged off the Bharat RannBhoomi Darshan Expedition from Dwarka. The expedition team comprising of Gunners from Army, Navy and BSF and 15 Hilux Vehicles will travel for 3,400 km… pic.twitter.com/b6mUYxpcue
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) February 3, 2026
આ અભિયાન ટુકડી ભારતની પશ્ચિમી સરહદે ગુજરાત અને રાજસ્થાનના મહત્ત્વના સરહદી વિસ્તારોને આવરી લેતા 3,400 કિલોમીટરથી વધુનું અંતર કાપીને નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) પર સમાપ્ત થશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય વિવિધ ઐતિહાસિક રણભૂમિની મુલાકાત લેવી, યુદ્ધ સ્મારકો પર શ્રદ્ધાંજલિ આપવી, સરહદી ગ્રામજનો અને નિવૃત્ત સૈનિકો સાથે વાર્તાલાપ કરવો અને બહાદુર સૈનિકો પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતા પુનઃ વ્યક્ત કરવાનો છે.

ભારતના સૌથી પ્રાચીન અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ શહેરોમાંનું એક એવું દ્વારકા મક્કમતા, શ્રદ્ધા અને રાષ્ટ્રીય વારસાનું પ્રતીક છે. દ્વારકાથી આ અભિયાનનું પ્રસ્થાન ભારતની ઊંડી સભ્યતાના મૂળ અને અટલ રાષ્ટ્રીય ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જેણે સદીઓના પડકારોમાં ભારતનું માર્ગદર્શન કર્યું છે. આ દરિયાકાંઠાનું શહેર વ્યૂહાત્મક મહત્ત્વ પણ ધરાવે છે, જે ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષામાં નૌકાદળની ભૂમિકાને મજબૂત બનાવે છે.

અભિયાનનો હેતુ
સમગ્ર પ્રવાસ દરમિયાન ટુકડીઓ યુદ્ધ સ્મારકો પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, સેવારત જવાનો અને નિવૃત્ત સૈનિકો સાથે મુલાકાત કરશે અને સ્થાનિક સમુદાયો, ખાસ કરીને યુવાનો સાથે જોડાઈને દેશભક્તિ અને ભારતના સૈન્ય વારસા વિશે જાગૃતિ લાવશે.
‘ભારત રણભૂમિ દર્શન અભિયાન’ રાષ્ટ્ર પ્રત્યે સશસ્ત્ર દળોની અતૂટ પ્રતિબદ્ધતાના શક્તિશાળી સ્મરણ તરીકે ઉભરી આવ્યું છે. તે આર્મી, નેવી અને BSF વચ્ચેની સંયુક્ત કાર્યશૈલીને પ્રતિબિંબિત કરે છે, ભારતના યુદ્ધના નાયકોના સર્વોચ્ચ બલિદાનને માન આપે છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય ગૌરવની ઊંડી ભાવના જગાડવાનો પ્રયાસ કરે છે.

જેમ જેમ આ અભિયાન દ્વારકાથી આગળ વધે છે તેમ તેમ તે એકતા, સ્મૃતિ અને સંકલ્પનો સંદેશ ફેલાવે છે. આ ભૂતકાળને શ્રદ્ધાંજલિ, વર્તમાનને સલામી અને ભવિષ્ય માટે પ્રેરણા છે.


