રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ માટે ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. તેમજ હવે અમદાવાદ સહિતની મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની તબક્કાવાર જાહેરાત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ MLA ભાનુબેન બાબરિયાને પણ ટિકિટ આપી છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં સહમતિ સાધવામાં વિલંબ થયો હોવાથી યાદી વિલંબમાં પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે ભાજપે 6 મહાનગર માટે પોતાનાં ઉમેદવારોના નામ ફાઈનલ કરી નાખ્યાં છે.
ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર. પાટીલે જણાવ્યું હતું કે, નવા નિયમોનો તમામ કાર્યકરોએ ઉત્સાહથી સ્વીકાર કર્યો છે. કોઇ વિરોધ પ્રદર્શન થયા નથી. તે બતાવે છે કે પાર્ટીમાં નવા નિયમોનો સ્વીકાર થયો છે. હવે જે લોકોને ટિકિટ નથી મળી તેમને પાર્ટી તેમના અનુભવ મુજબ કામ સોંપશે. આગામી દિવસોમાં પાર્ટી ઝોન અને જિલ્લા લેવલે બેઠકો કરીને જેમને ટિકિટ નથી મળી તેવા નેતાઓને કામ સોંપશે.
ભાજપ દ્વારા 3 ટર્મથી જીતતા કોર્પોરેટર અને 60 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને ટીકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં નેતાઓના સગાને પણ ટીકીટની ફાળવણી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા અમદાવાદ સહિત છ મનપાની ચૂંટણીમાં 500થી વધારે બેઠકો ઉપર જીતનો લક્ષ્યાંક રાખ્યો છે. આવતીકાલે વિજય મુર્હુતમાં તમામ છ મહાપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે. તા.9ના પછી ચૂંટણી પ્રચાર શરૂ થઈ જશે.