અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યાને મહિના વીતિ ગયા છતાં વિવિધ કમિટીઓના પદાધિકારીઓ નિમવાનુમ મૂહુર્ત હજુ મળતુ નથી. કોંગ્રેસની સ્થિતિ પણ ભાજપ જેવી જ છે. વિપક્ષના નેતાનું પદ હજુ ખાલી છે. જુથબંધીને કારણે વિપક્ષના નેતાની પસંદગી કરી શકાતી નથી. જ્યારે ભાજપે વિજય બાદ મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટી બનાવી ચેરમેનની નિમણુંક કરી હતી. પરંતુ વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી ન હતી. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી કોર્પોરેશનમાં અટકી પડેલી 17 જેટલી વિવિધ કમિટીઓની રચના આગામી 30 એપ્રિલે ઓનલાઈન મળનારી સામાન્ય સભામાં કરવામાં આવશે. તમામ કમિટીઓના સભ્યો અને ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 160 બેઠક મેળવી હતી. શહેર અને પ્રદેશના કેટલાક નેતાઓ તેમજ નારાજ કોર્પોરેટરોના આંતરિક વિખવાદના કારણે વિવિધ કમિટીઓની રચના થઈ શકી ન હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી પ્રભારી રહેલા સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુરેન્દ્ર કાકા મુજબ જ મેયરથી લઈ કમિટીઓના ચેરમેન નીમવામાં આવતા હતા. જો કે,હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેર ભાજપ સંગઠનના નેતાઓ અને પ્રભારી બદલાતા કમિટીઓ રચવામાં આવશે. વોટર સપ્લાય, રોડ, હેલ્થ, ટાઉન પ્લાનિંગ, હોસ્પિટલ, હાઉસિંગ કમિટી, ટ્રાન્સપોર્ટ જેવી મલાઈદાર કમિટી મેળવવા કાઉન્સિલરો મોટા નેતાઓ અને પોતપોતાના ગોડફાધરોના શરણે કમિટીઓ માટે લોબિંગ શરૂ કર્યું છે. અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, કિરીટ પરમાર એક ગરીબ પરિવારમાંથી આવે છે. અને તેઓ એક ચાલીમાં માત્ર એક રૂમમાં જ રહે છે. જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપામાં ભાજપ નેતા બન્યાં છે.