યુવાનો અંગેના નિવેદન બાબતે મુખ્ય ન્યાયમૂર્તિએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
નવી દિલ્હી, 16 મે, 2026: યુવાનો અંગેના નિવેદન બાબતે મુખ્ય ન્યાયમૂર્તિએ સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. બેરોજગાર યુવા વકીલો માટે કૉકરોચ (વંદા) જેવા શબ્દોનો ઉપયોગ કરીને વિવાદમાં ફસાયેલા સીજેઆઈ (CJI) સૂર્યકાંતે આ મામલે સ્પષ્ટતા કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, તેઓ દેશના યુવાનોની ટીકા કરે છે તેવું કહેવું સંપૂર્ણપણે ખોટું અને નિરાધાર છે. તેમણે ઉમેર્યું, “મને દેશના વર્તમાન અને ભવિષ્યના નાગરિકો પર ગર્વ છે. ભારતનો દરેક યુવાન મને પ્રેરિત કરે છે.” ચીફ જસ્ટિસે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
‘મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું…’
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે બેરોજગાર યુવા વકીલો પર કરેલી આકરી ટિપ્પણી અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરતા કહ્યું કે, “ગઈકાલે એક તુચ્છ (frivolous) મામલાની સુનાવણી દરમિયાન મારા દ્વારા આપવામાં આવેલા મૌખિક નિવેદનને મીડિયાના એક વર્ગે ખોટી રીતે રજૂ કર્યું છે, તે જોઈને મને દુઃખ થયું છે.” સીજેઆઈએ સ્પષ્ટ કર્યું કે તેમની ટિપ્પણી એવા લોકો વિશે હતી જેઓ નકલી અને બનાવટી ડિગ્રીના સહારે વકીલાત જેવા વ્યવસાયોમાં પ્રવેશી રહ્યા છે. તેમણે કહ્યું, “આવા લોકો મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યા છે, અને આ અર્થમાં તેઓ પરજીવી (parasites) જેવા છે.”
આ પણ વાંચોઃ પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો
ન્યાયમૂર્તિએ કહ્યું કે તેમણે દેશના યુવાનોની ટીકા કરી છે તે વાત તદ્દન ખોટી છે. તેમણે જણાવ્યું, “મને દેશના વર્તમાન અને ભવિષ્યના માનવ સંસાધન પર ગર્વ છે. ભારતનો દરેક યુવાન મને પ્રેરિત કરે છે. એ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે ભારતીય યુવાનો મારા પ્રત્યે સન્માન ધરાવે છે અને હું તેમને એક વિકસિત ભારતના સ્તંભ તરીકે જોઉં છું.”
શું હતું એ આખું નિવેદન જેના પર હોબાળો મચ્યો?
CJI સૂર્યકાંતે શુક્રવારે એક કેસની સુનાવણી દરમિયાન કેટલાક બેરોજગાર યુવા વકીલોને લઈને આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “એવા યુવાનો છે જેઓ કૉંકરોચ જેવા છે, જેમને કોઈ રોજગાર મળતો નથી અને વ્યવસાયમાં પણ કોઈ સ્થાન મળતું નથી. તેમાંથી કેટલાક મીડિયામાં જતા રહે છે, કેટલાક સોશિયલ મીડિયામાં, કેટલાક RTI એક્ટિવિસ્ટ બની જાય છે, તો કેટલાક અન્ય પ્રકારના એક્ટિવિસ્ટ બની જાય છે અને પછી તેઓ બધા પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.”


