છોટાઉદેપુરઃ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારની કૃષિ મંત્રીએ લીધી મુલાકાત
અમદાવાદઃ રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે છોટાઉદેપુર જિલ્લાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી પુરઝડપે કરવામાં આવી રહી છે. રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોડીયા અને પાણેજ તથા નસવાડી તાલુકાના અકોના અને ઘોડીસિમેલ ગામની મુલાકાત લઇ ખેતીમાં થયેલા નુકસાન અંગે નિરીક્ષણ કર્યું હતું.
તેમણે ખોડીયા, પાણેજ, અકોના અને ઘોડીસિમેલ ખાતે ઉપસ્થિત ખેડૂતો સાથે વાતચીત કરી તેમની તકલીફો વિશે માહિતી મેળવી હતી. તેમણે લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો ઝડપથી નિકાલ આવે એ તેમની સાથે ઉપસ્થિત જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને જરૂરી સૂચનાઓ આપી હતી.
સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદ કરી તેમમે જણાવ્યું હતું કે, સર્વે પુરો થયા બાદ જ સાચા નુકસાનનો અંદાજ આવી શકશે માટે ઝડપથી સર્વે પૂર્ણ લોકોને સરકારના ધારાધોરણો મુજબ સહાય ચૂકવવામાં આવશે.