છત્તીસગઢઃ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, અનેક નક્સલવાદીઓના મોતની આશંકા
નવી દિલ્હીઃ છત્તીસગઢના કાંકેર જિલ્લાના નક્સલ પ્રભાવિત તાડોકી વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટર દરમિયાન લગભગ એક કલાક સુધી બંને તરફથી ભારે ગોળીબાર થયાના સમાચાર છે. પોલીસ અધિક્ષક શલભ સિન્હાએ ઘટનાની પુષ્ટિ કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસને કોસરોંડાના જંગલોમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની જાણકારી મળી હતી. આ પછી પોલીસની સંયુક્ત પાર્ટી સર્ચ ઓપરેશન પર નીકળી હતી. રાત્રે લગભગ એક વાગ્યે જવાનોની નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી અને બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો.
લગભગ એક કલાક સુધી ચાલેલા ગોળીબાર બાદ નક્સલવાદીઓ વિસ્તાર છોડીને ભાગી ગયા હતા. ગાઢ જંગલને કારણે રાત્રે સર્ચ ઓપરેશન ખતરનાક સાબિત થઈ શકે છે, જેના કારણે સૈનિકોએ સવારે સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઘણી જગ્યાએ લોહીના ડાઘા જોવા મળ્યા છે. મૃતદેહોને ખેંચવાના નિશાન મળ્યા બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા છે.