કોરોના મહામારીઃ વડોદરામાં માસ્ક વગર ફરતા લોકો સામે તંત્રની અનોખી કામગીરી
- માસ્ક વગર ફરતા લોકોને પકડવા અભિયાન
- ફૂલનો હાર પહેરાવી જાગૃતિ ફેલાવાનો પ્રયાસ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં માસ્ક હવે જીવનનો એક ભાગ બની ગયું છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે બીજી તરફ અનેક લોકો બેજવાબદાર બનીને માસ્ક વગર ફરતા હોવાથી આવા લોકોને ઝડપી લઈને પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, વડોદરામાં લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસુલવાને બદલે અનોખી કામગીરી કરવામાં આવે છે. માસ્ક વગર ફરતા લોકોને પકડીને તેમનું ફૂલના હાર વડે સ્વાગત કરવામાં આવે છે. તેમજ જે તે વ્યક્તિને કોરોના સંક્રમિત ફેલાવનાર ગણીને તાલીઓથી સન્માન કરીને લોકોને માસ્ક પહેરાવવા જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ તંત્ર દ્વારા સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. દરમિયાન વડોદરામાં પાલિકા અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે માસ્ક વગર ફરતાં યુવાનોને અનોખી સજા કરી હતી. વોર્ડ નંબર 12ની ટીમે મકરપુરા સુશેન સર્કલ પાસે માસ્ક વગર ફરતાં યુવાનોને જાહેરમાં હાર પહેરાવી સ્વાગત કરી તાળીઓ વગાડી અનોખી સજા કરી હતી. આ લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાવનારા ગણાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 31,902 પોઝિટિવ કેસ નોંધાયા છેજ્યારે સત્તાવાર મૃત્યુઆંક 262 પર પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 28270 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.