કોરોનાઃ અમદાવાદમાં 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગની વ્યવસ્થા, ટેસ્ટ પોઝિટીવીટી દર વધ્યો
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. મેગાસિટી અમદાવાદમાં જ 10 દિવસમાં ત 150 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા મનપા તંત્ર એકશનમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં લગભગ 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટીંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. બીજી તરફ ટેસ્ટ પોઝિટિવીટી દર બમણો થયો છે. જેથી મનપાનું આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં 13 ડિસેમ્બરે પોઝિટિવિટી રેટ 3.36 ટકા હતો જે વધીને 23 ડિસેમ્બરે 6.69 ટકા થઈ ગયો છે. એટલે કે, પહેલા દર હજારે કોરોના ટેસ્ટ કરતાં અંદાજે ચાર લોકો પોઝીટીવ આવતા હતા જેની સંખ્યા હવે વધીને સાતની આસપાસ પહોંચી છે. જેથી તંત્ર દ્વારા અનેક સ્થળો પર કોરોના ગાઈડ લાઇનના પાલનને લઇને ચેકિંગ પણ હાથ ધર્યું છે. શહેરમાં કોર્પોરેશન દ્વારા 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર પણ ટેસ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે. શહેરની જુદીજુદી ખાનગી અને સરકારી લેબોરેટરીમાં એન્ટિજન ટેસ્ટ થઈ રહ્યાં છે. શહેરમાં સરેરાશ દરરોજ સાત હજાર જેટલા RT-PCR અને એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર થઈ રહેલા વધારાને પગલે કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તેમજ રાત્રિ કરફ્યુના સમયમાં પણ વધારીને રાતના 11થી સવારના 5 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.