1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્ક્રેપ થયેલા કે વેચેલા વાહનોનો પસંદગીનો નંબર વાહન ચાલકો હવે નવા વાહન માટે રાખી શકશે

સ્ક્રેપ થયેલા કે વેચેલા વાહનોનો પસંદગીનો નંબર વાહન ચાલકો હવે નવા વાહન માટે રાખી શકશે

0
Social Share

અમદાવાદઃ રાજયના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુનઃમળી શકે એ માટે રાજયસરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જુનો નંબર રીટેન કરી શકશે એ માટે  વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામા આવશે. તેમ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતું.

મંત્રી મોદીએ ઉમેર્યુ કે,વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજીક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી-માન્યતાને કારણે જુના વાહનોના નંબર રીટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે

મંત્રીએ ઉમેર્યુ કે,વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજુઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રીટેન્શનની પોલીસીને અમલમાં મુકવાનો આ નિર્ણય કરાયો છે આ પોલીસીમાં વાહન માલીક બે વખત તેઓના વાહન નંબર રીટેન્શન કરી શકશે.

તેમણે ઉમેર્યુ કે,વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રીટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રીટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. તબદિલ થયેલ વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જુના વાહનનો નંબર રીટેન કરી શકાશે અને જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે,વાહન માલિક પોતનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો ઉપર જ રીટેન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહી. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બન્‍ને વાહનોની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. વધુમાં જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાહનોના પ્રકાર સમાન હોવા જરૂરી છે.

અગાઉ સ્ક્રેપ થઇ ચૂકેલ હોય તેવા વાહનોનો નંબર રીટેન કરી શકાશે નહી. રીટેન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રીટેન કરેલ નંબર ફાળવવાની પ્રકિયા 15 દિવસમાં પુરી કરવાની રહેશે. ત્યારબાદ રીટેન કરેલ નંબર નવા વાહનને ફાળવી શકાશે નહી. ટ્રાન્સફર કે સ્ક્રેપ થતા વાહન જેનો નંબર રીટેન કરવાનો છે તેને નવો વાહન નંબર ફાળવવાની પ્રકિયા વાહન નંબર રીટેન્શન કર્યાની સાથે તુરંત કરવાની રહેશે.

મંત્રીએ ઉમેર્યુ કે,વાહન નંબર રીટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ મુજબ જ ટુ વ્હીલરના ગોલ્ડન નંબર માટે રૂ. 8 હજાર, સિલ્વર નંબર માટે રૂ. 3500 અને અન્ય નંબર માટે રૂ. 2000 અને અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે રૂ. 40 હજાર, સિલ્વર નંબર માટે રૂ. 15 હજાર અને અન્ય નંબર માટે રૂ. 8 હજાર મિનીમમ ફી ચુકવવાની રહેશે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code