દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલી લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાની બેઠકો ઉપર પેટાચૂંટમીની તારીખો જાહેર કરી છે. લોકસભાની 3 અને વિધાનસભાની 30 બેઠકો માટે 30 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જે રાજ્યોમાં લોકસભાની ખાલી બેઠકો પડી છે તેમાં દાદરા-નગર હવેલી, મધ્યપ્રદેશની ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 14 રાજ્યોની વિધાનસભાની ખાલી પડેલી કુલ 30 બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે.
ચૂંટણીપંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી, પૂર, તહેવારો સહિતની પરિસ્થિતિ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્ય સરકારો પાસેથી મળેલી પ્રતિક્રિયાની સમીક્ષા કરીને ખાલી પડેલી બેઠકો ઉપર પેટાચૂંટણી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના મત અનુસાર ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી કરાવવી ઘણા સમયથી જરૂરી હતી. પરંતુ કોરોના મહામારીને પગલે ચૂંટણી ટાળવામાં આવતી હતી. જો કે, હવે કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યો છે.
આંધ્રપ્રદેશ વિધાનસભાની એક, અસમની પાંચ, બિહારની બે, હરિયાણાની એક, હિમાચલ પ્રદેશની ત્રણ, કર્ણાટકની બે, મધ્યપ્રદેશની ત્રણ, મહારાષ્ટ્રની એક, મેઘાલયની ત્રણ, મિઝોરમની એક, નાગાલેન્ડની એક, રાજસ્થાનની બે, તંલગાણાની એક અને પશ્ચિમ બંગાળની ચાર બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ ડિસેમ્બર 2022માં યોજાવાની શકયતા છે. જ્યારે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીનો પરાજય થયો હતો. જો કે, તેમની પાર્ટી ટીએમસીની જીત થતા મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યાં છે. જેથી પશ્ચિમ બંગાળમાં યોજાનારી પેટાચૂંટમીમાં મમતા બેનર્જી પણ ઉમેદવારી નોંધાવશે.