યુરોપ પ્રવાસ: PM મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના,યુક્રેન સંકટ પર ભારતનું વલણ સ્પષ્ટ કરશે
- પીએમ મોદી વિદેશ યાત્રા માટે થયા રવાના
- જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસના ત્રણ દેશોના પ્રવાસે
- યુક્રેન સંકટ પર ભારતનું વલણ સ્પષ્ટ કરશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 મેથી જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસના ત્રણ દેશોના પ્રવાસે જશે.આ ક્રમમાં, રવિવારે મોડી રાત્રે પીએમ મોદી વર્ષ 2022 માં તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે રવાના થયા.આ મુલાકાત દરમિયાન પીએમ મોદી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ સાથે યુક્રેન મુદ્દે ભારતના અભિગમ અંગે ચર્ચા કરશે.વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ આ માહિતી આપી હતી.વડાપ્રધાન મોદીની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપના મોટા દેશો સાથે બહુપક્ષીય ભાગીદારીને મજબૂત કરવાનો છે.
વિદેશ યાત્રા માટે રવાના થતા પહેલાં જારી કર્યું નિવેદન
પોતાના પ્રવાસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું.તેમણે કહ્યું કે,યુરોપની તેમની મુલાકાત એવા સમયે થઇ રહી છે જ્યારે આ ક્ષેત્ર ઘણા પડકારો અને વિકલ્પોનો સામનો કરી રહ્યો છે અને તે તેના યુરોપિયન ભાગીદારો સાથે ભારતની સહકારની ભાવનાને મજબૂત કરવા માંગે છે.
તેમણે કહ્યું કે યુરોપિયન ભાગીદારો ભારતની શાંતિ અને સમૃદ્ધિની શોધમાં મુખ્ય ભાગીદારો છે.મોદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર 2 મેના રોજ બર્લિનની મુલાકાત લેશે અને પછી તેમના ડેનિશ સમકક્ષ મેટ્ટે ફ્રેડરિકસનના આમંત્રણ પર દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેવા માટે 3-4 મેના રોજ કોપનહેગન જશે અને દ્રિતીય ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે..
કોપનહેગન જશે પીએમ મોદી
ક્વાત્રાએ જણાવ્યું કે,3 મેના રોજ પીએમ મોદી કોપનહેગન જશે.વડાપ્રધાન મોદીની ડેનમાર્કની આ પ્રથમ મુલાકાત હશે,પરંતુ ડેનમાર્કના વડાપ્રધાન સાથે તેમની ત્રીજી શિખર સ્તરની વાતચીત અને ચર્ચા દ્વિપક્ષીય મુદ્દાઓ અને વૈશ્વિક અને ક્ષેત્રીય હિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
વડાપ્રધાન દ્વિપક્ષીય અને બહુપક્ષીય કાર્યક્રમો માટે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાત લેશે.જર્મનીમાં વડાપ્રધાન મોદી ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળશે. બંને નેતાઓ 6ઠ્ઠી ભારત-જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ (IGC)ની સહ-અધ્યક્ષતા કરશે.