અમદાવાદઃ ગુજરાતમાં આજથી ત્રીજા તબક્કાના કોરોના રસીકરણનો શુભારંભ થયો છે. ત્યારે રાજ્યમાં 60 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી વિના મૂલ્યે મળી રહે તે માટે 2500 જેટલી હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. તેમજ તેમણે આવતીકાલે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરીમાં પણ ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ સવારે નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં કોરોનાની રસીનો ડોઝ લીધો છે. આજથી સમગ્ર દેશમાં 60 વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને રસી આપવાની શરૂ થઈ છે. ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા 2500 હોસ્પિટલમાં વિનામૂલ્યે રસી આપવાની વ્યવસ્થા થઈ ગઈ છે. સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે રસી આપવામાં આવશે. અત્યાર સુધી લોકો આક્ષેપ કરતા હતા કે પીએમ રસી લેતા નથી અને સલાહ આપે છે. પરંતુ અત્યાર સુધી કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને સુરક્ષિત કરવા માટે એક કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. હવે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકની જેમ રસી લઈને તેનો શુભારંભ કરાવ્યો છે. રસીની ગુણવત્તાને લઈને જે આક્ષેપ થતા હતા તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લઈને જવાબ આપી દીધો છે. રસી સુરક્ષિત હોવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ રસી લીધી છે. હવે 60 વર્ષથી વધુની કોઈ પણ વ્યક્તિ હવે રસી લઈ શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. તા. 3ના રોજ બે બેઠક યોજાશે. પ્રથમ સત્રમાં પ્રશ્નોતરી બાદ બજેટ રજૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કોર્પોરેશનની જેમ ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.