1. Home
  2. ગુજરાતી
  3. ગણેશજીએ એક વાર તોડ્યું હતું કુબેર દેવનું અભિમાન,આ હતું કારણ
ગણેશજીએ એક વાર તોડ્યું હતું કુબેર દેવનું અભિમાન,આ હતું કારણ

ગણેશજીએ એક વાર તોડ્યું હતું કુબેર દેવનું અભિમાન,આ હતું કારણ

0
Social Share

ભગવાન ગણેશ જેમને આપણે સૌ વિધ્નહર્તા તરીકે પણ ઓળખીએ છીએ, તેઓની આપણને અનેક વાતો યાદ હશે, પણ આ વાત કદાચ ખબર નહી હોય કે ભગવાન ગણેશએ એક વાર કુબેર દેવનો પણ ઘમંડ તોડ્યો હતો.

આપણને સૌને તે વાત વિશે જાણ છે કે ક્યારેક કોઈ પણ વાતનો કોઈ પણ વ્યક્તિએ ઘમંડ ન કરવો, કારણ કે ઘમંડ અને અભિમાન તો મહાન શિવભક્ત રાવણનું પણ તૂટી ગયું હતુ, તો અન્ય લોકોની તો વાત જ ન થાય. તો આવામાં જો વાત કરવામાં આવે કુબેર અને ગણપતિની તો….

તો વાત એવી છે કે એક દિવસ દેવતાઓના કુબેરને પોતાના પદ અને સંપત્તિનું અભિમાન થયું. ઘમંડમાં તે ભગવાન શિવ પાસે ગયા અને તેમને પોતાના મહેલમાં પરિવાર સાથે જમવાનું આમંત્રણ આપ્યું.શિવજીએ કહ્યું કે તમે જરૂરતમંદ લોકોને ખવડાવો તે સારું છે.
કુબેરે કહ્યું, પ્રભુ મારી પાસે ઘણા પૈસા છે અને હું જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવું છું, પણ આજે હું તમારા પરિવારને પણ ભોજન કરાવવા ઇચ્છું છું.

ભગવાન શિવ સમજી ગયા કે કુબેરને પોતાની સંપત્તિ અને પદ પર ઘમંડ આવી ગયું છે. આથી તેમણે કહ્યું કે હું ક્યાંય જતો નથી, તમે એક કામ કરો, ગણેશને તમારી સાથે લઈ જાઓ. તેને ખવડાવો, પરંતુ ધ્યાન રાખજો કે ગણેશજીની ભૂખ સરળતાથી સંતોષાતી નથી.
કુબેરે કહ્યું કે જો હું બધાને ખવડાવીશ શકું છું તો ભગવાન ગણેશને પણ ખવડાવીશ.

રાત્રિભોજનનું આમંત્રણ મળ્યા બાદ ગણેશજી કુબેરના મહેલમાં પહોંચ્યા. કુબેરે તેમના માટે ઘણી રસોઈ તૈયાર કરી. ગણેશજી જમવા બેઠા, ગણેશજી જમતા હતા, થોડી જ વારમાં કુબેરના રસોડામાં બધું ભોજન સમાપ્ત થઈ ગયું. ગણેશજીએ વધુ ભોજન માંગ્યું.આ જોઈને કુબેર ડરી ગયા. તેણે તરત જ વધુ ખોરાક તૈયાર કર્યો, તે પણ સમાપ્ત થઈ ગયો. ગણેશજી વારંવાર ભોજન માગી રહ્યા હતા. કુબેરે ભગવાન ગણેશની સામે હાથ જોડીને કહ્યું કે હવે મારા ઘરનો બધો ખોરાક ખતમ થઈ ગયો છે. હું વધુ ખોરાક ખવડાવી શકતો નથી.ગણેશજીએ કહ્યું, પણ મારી ભૂખ હજી સંતોષાઈ નથી. મને તમારા રસોડામાં લઈ જાઓ.

જ્યારે કુબેર ગણેશજીને રસોડામાં લઈ ગયા ત્યારે ગણેશે ત્યાં રાખેલી બધી વસ્તુઓ ખાઈ લીધી. ગણેશજી હજી ભૂખ્યા હતા. તેણે કહ્યું કે મને ત્યાં લઇ જાવ જ્યાં કાચી ખાદ્ય સામગ્રી રાખવામાં આવે છે. જ્યારે ભગવાન કુબેર તેમને તેમના ભંડારમાં લઈ ગયા, ત્યારે ભગવાન ગણેશએ ત્યાં રાખેલી બધી કાચી ખાદ્ય સામગ્રીઓ પણ ખાઈ ગયા.

હવે કુબેર દેવની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ હતી. તે તરત જ ભગવાન શિવ પાસે પહોંચી ગયા. તેમણે આખી વાત શિવજીને કહી. શિવજીએ ગણેશજીને કહ્યું કે જાઓ અને માતા પાર્વતીને બોલાવો.

માતા પાર્વતીને જોઈ ગણેશજીએ કહ્યું, માતા, કુબેરદેવના ભોજનથી મારી ભૂખ સંતોષાઈ નથી. મને ખાવા માટે કંઈક આપો.
પાર્વતી તેના રસોડામાં ગયા અને ખોરાક તૈયાર કરીને લઈ આવ્યા. દેવીએ પોતાના હાથે ભગવાન ગણેશને ભોજન કરાવતાં જ ભગવાન ગણેશ સંતુષ્ટ થઈ ગયા. જ્યારે માતાએ વધુ ખવડાવવાનું શરૂ કર્યું, ત્યારે ગણેશજીએ કહ્યું, માતા, મારું પેટ ભરાઈ ગયું છે. હવે હું ખાઈ શકતો નથી.

આ બધું જોઈને કુબેર દેવનું અભિમાન તૂટી ગયું અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કુબેરે બધાને માફી માંગી. આ રીતે ભગવાન ગણેશે કુબેર દેવના પદ અને સંપત્તિનું અભિમાન તોડી નાખ્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code