1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કેસ ઘટતા હવે ઔદ્યોગિક મૂડીરોકાણ વધારવા મેળા અને પ્રદર્શન યોજવા સરકારની મંજૂરી
કોરોનાના કેસ ઘટતા હવે ઔદ્યોગિક મૂડીરોકાણ વધારવા મેળા અને પ્રદર્શન યોજવા સરકારની મંજૂરી

કોરોનાના કેસ ઘટતા હવે ઔદ્યોગિક મૂડીરોકાણ વધારવા મેળા અને પ્રદર્શન યોજવા સરકારની મંજૂરી

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. રથયાત્રા બાદ જે 18 શહેરોમાં રાતના 10 વાગ્યાથી રાત્રી કરફ્યું અમલમાં તે પણ ઉઠાવી લેવામાં આવે તેવી શક્યતા છે. બીજીબાજુ સરકારના ઉદ્યોગ વિભાગે ઔદ્યોગિક મૂડીરોકાણ વધારવા માટે વ્યાપાર મેળા અને ઔદ્યોગિક પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું છે. વિભાગના આદેશ પ્રમાણે વિદેશી ડેલિગેશન અને ઇન્ટરનેશનલ ડેસ્ક માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાજ્ય પ્રદર્શનો યોજવા માટે પણ છૂટ આપવામાં આવી છે. માઇક્રો, સ્મોલ અને મિડીયમ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે એમએસએમઇ કમિશનર કચેરી દ્વારા ઔદ્યોગિક વિકાસ માટે પ્રોત્સાહક પ્રયત્નો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જેમાં વ્યાપાર મેળા, પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓ તેમજ આઇએફપી, આઇએફસી, વિદેશી ડેલિગેશન અને ઇન્ટરનેશન ડેસ્ક માટે 6.11 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વ્યાપાર મેળા, અને પ્રદર્શન પાછળ ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ કરોડ રૂપિયા, ઇન્વેસ્ટમેન્ટ ફેલિલિટેશન પોર્ટલ માટે બે કરોડ રૂપિયા, ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન સેલ માટે 50 લાખ, વિદેશી ડેલિગેશન માટે 60 લાખ અને ઇન્ટરનેશન ડેસ્ક માટે એક લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આમ કુલ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં 6.11 કરોડ વાપરવાનું આયોજન છે.  ગુજરાતમાં છેલ્લી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2019માં થઇ હતી.

આ સમિટમાં 78 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ કેટલું મૂડીરોકાણ આવવાનું છે તેના આંકડા જાહેર કરવામાં આવ્યા ન હતા. જો કે સરકારે આવી જાહેરાત કરી હતી કે આ સમિટમાં 28960 સમજૂતી કરાર થયા હતા અને તેના થકી 21 લાખ લોકોને નોકરીઓ મળશે તેવો વાયદો કરવામાં આવ્યો હતો. આ સમિટ પછી 2021માં થનારી વાયબ્રન્ટ સમિટ કોરોના સંક્રમણના કારણે બંધ રાખવામાં આવી હતી.

ગુજરાત સહિત દેશભરમાં તેમજ વિદેશમાં કોરોના સંક્રમણના કેસો વધતાં નવા ઔદ્યોગિક મૂડીરોકાણને મોટો ફટકો પડ્યો છે પરંતુ હવે રાજ્યના ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સરકારમાં વિવિધ ક્ષેત્રના મૂડીરોકાણ માટેની દરખાસ્તો આપવાનું શરૂ કર્યું છે. આ સાથે ઉદ્યોગ વિભાગે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક કક્ષાએ સેમિનાર અને વર્કશોપ કરવા માટે 50 લાખ રૂપિયાની જોગવાઇને મંજૂરી આપી છે.

(તસવીરઃ ફેસબુક)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code