ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ રાજકીય ઈતિહાસમાં ત્રીજા પક્ષને રાજ્યમાં કોઈ સ્થાન નથી !
અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ તમામ 182 બેઠક ઉપર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. આ ઉપરાંત ઔવેસિ અને એનસીપી પણ કેટલીક બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખશે. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. જો કે, ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ત્રીજા રાજકીય પક્ષને કોઈ સ્થાન નહીં, અગાઉ ગુજરાત પરિવર્તન પાર્ટી સહિતની કેટલીક સ્થાનિક રાજકીય પક્ષોએ દમ લગાવ્યો હતો જો કે, તેમને ગુજરાતના મતદારોએ જાકારો આપ્યો છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વર્ષોથી રાજકીય જંગ જોવા મળ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતે છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.
1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાદળને 70 બેઠકો મળી હતી. જેથી ચીમનભાઈ પટેલે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. આ ચૂંટણીમાં ભાજપને 67 તથા કોંગ્રેસને 33 બેઠકો મળી હતી. જો કે, તે બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી હતી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં હતા. 1990ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકાર પડી ભાગી હતી.
1998ની વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાએ પોતાની રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવીને 168 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખ્યાં હતા. જે બાદ રાજપા કોંગ્રેસમાં મર્જ થઈ હતી. બીજી તરફ ભાજપના હાલના સિનિયર નેતા ગોરધન ઝડફિયાએ 2007ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષ ઉભો કર્યો હતો. પરંતુ તેના પક્ષને પુરતી બેઠકો મળી હતી. એટલું જ નહીં 2012માં કેશુભાઈ પટેલ સાથે મળીને રાષ્ટ્રીય પરિવર્તન પાર્ટી એટલે જીપીપીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યાં હતા.
આ પક્ષમાં અનેક રાજકીય આગેવાનો હોવા છતા માત્ર બે જ બેઠકો મળી હતી. જે બાદ જીપીપી ભાજપમાં ભળી ગયું હતું. આ ઉપરાંત એનસીપી પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગણતરીની બેઠકો ઉપર જ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે. વર્ષ 2017માં પણ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં હતા. પરંતુ આપનું ભારે ધોવાણ થયું હતું.
1998ની ચુંટણીમાં શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટીએ 168 ઉમેદવારો ઉભા રાખ્યા હતા પણ તેમના માત્ર 4 ઉમેદવારો જ જીતી શકયા હતા. 2012માં કેશુભાઇ પટેલ જૂથની રાષ્ટ્રીય પરિવર્તન પાર્ટીમાં સુરેશ મહેતા અને ગોરધન ઝડફીયા જેવા મોટા માથાઓ હોવા છતા ફકત 2 બેઠકો જીતી શકી હતી. 1975માં ચીમનભાઇ પટેલની કીમલોપના 131 ઉમેદવારોમાંથી માત્ર 12 ઉમેદવારો જ જીતી શકયા હતા. અગાઉ બીએસપી, એસપી, શીવસેના, એનસીપી, જદ (યુ) જેવા પક્ષોએ તેમના નસીબ અજમાવ્યા હતા પણ તેઓ અહીં કોઇ છાપ નહોતા છોડી શકયા.