
ગુજરાત ચૂંટણી 2022: મતદાન જાગૃતિ અભિયાનમાં સાધુ-સંત સમાજ પણ જોડાયો
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તેવા ચૂંટણીપંચ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તેમજ અભિયાન રથ દોડાવીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્કૂલના બાળકો પણ લોકોને વધારેમાં વધારે મતદાન કરવા વિવિધ કાર્યકર્મો મારફતે અપીલ કરી છે. હવે સાધુ-સંતો પણ આ અભિયાનમાં જોડાયા છે. જૂનાગઢમાં સાધુ સમાજે સાયકલ રેલી યોજીને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
જુનાગઢના ગીરનાર સ્થિત સાધુ સમાજના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુની આગેવાનીમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સાંજે સાયકલની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્દ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતેથી સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્દ્રભારતી બાપુ, ભવનાથ ક્ષેત્રના મહાદેવગીરી બાપુ, અમૃતગીરી બાપુ તેમજ કિશોરબાપુ સહિતના સાધુ-સંતો જોડાયા હતા. આ રેલીમાં સાઇકલ સવારો ભવનાથ મંદિરેથી દત્ત ચોક સહિતના માર્ગો પર ફર્યા હતા. ઇન્દ્રભારતી બાપુએ ગુજરાત વિધાનસભાની ચુંટણીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરી હતી.