વિદ્યાસહાયકોને પાંચ વર્ષની નોકરી બાદ આંતર જિલ્લા બદલીની નીતિને ગુજરાત હાઈકોર્ટની બહાલી
અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાસહાયકોને પાંચ વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ ફુલ પગારમાં પ્રાથમિક શિક્ષક તરીકે લેવામાં આવે છે. ઘણા વિદ્યાસહાયકો તેમના એકાદ-બે વર્ષના કાર્યકાળમાં બદલીની માગ કરતા હોય છે. પરંતુ રાજ્ય સરકારની નીતિ મુજબ પાંચ વર્ષના વિદ્યાસહાયક તરીકેના કાર્યકાળ પૂર્ણ થયા બાદ જ આંતર જિલ્લા બદલી તેમજ 10 વર્ષ પ્રાથમિક શિક્ષક તરીકે પૂર્ણ કર્યા બાદ આંતર તાલુકા બદલીઓ કરવામાં આવે છે. રાજ્ય સરકારની આ નીતિને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારની નીતિને યોગ્ય ગણીને હાઈકોર્ટે બહાલ રાખી છે.
ગુજરાતમાં વિદ્યાસહાયક તરીકે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ પ્રાથમિક શિક્ષકોની આંતર જિલ્લા બદલી તથા 10 વર્ષ પૂર્ણ થતા સુધી આંતર તાલુકા બદલી પરના નિયંત્રણોની નીતિને ગુજરાત હાઈકોર્ટે બહાલ રાખી છે અને આ નીતિને પડકારનારા શિક્ષકોને એવી ટકોર કરી હતી કે બદલી યોગ્યતા માટેની કેટલીક છુટછાટો માટે તેઓએ સરકારનો આભાર માનવો જોઈએ.
રાજય સરકારે ગત એપ્રિલમાં ઠરાવ કરીને 10ને બદલે પાંચ વર્ષના કાર્યકાળ પછી જ પ્રાથમિક શિક્ષકોની આંતર જિલ્લા બદલીનો નિયમ બનાવ્યો હતો તે સામે શિક્ષકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવીને ઢગલાબંધ અપીલ અરજી કરી હતી. રાજય સરકારે એવી દલીલ કરી હતી કે આંતર તાલુકા ટ્રાન્સફર માટે ન્યુનતમ 10 વર્ષથી નોકરીનો ઠરાવ 2014નો છે. અનેક શિક્ષકોએ પોસ્ટીંગના જિલ્લાના જુદા તાલુકાઓમાં બદલી માંગી હતી. આ માટે નોકરીના 10 વર્ષ પૂર્ણ કરવાનુ જરૂરી હતું. સરકારના નવા નિયમ હેઠળ પાંચ વર્ષની નોકરી બાદ આંતર જિલ્લા બદલી લાગુ પડતી હતી.
આ મામલે હાઈકોર્ટમાં લાંબા કાનૂની જંગ સુનાવણી બાદ જસ્ટીસ બિરેન વૈષ્ણવે એવો ચુકાદો આપ્યો હતો કે સરકારનો નિર્ણય અંતરીયાળ ગામોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના હિતમાં છે, તેમાં કોઈ ખોટો કે ખરાબ ઉદેશ નથી. પાંચ વર્ષની નોકરી બાદ આંતર જિલ્લા બદલીના નિયમનો વિરોધ કરતા શિક્ષકો માત્ર તાલુકા બદલવા માંગતા શિક્ષકોની સમસ્યાઓ સાથે સરખામણી ન કરી શકે. 10 વર્ષની નોકરી સુધી આંતર તાલુકા બદલી નહીં કરવાના નિયમથી શિક્ષકોના મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી. તેઓ સમાન તાલુકામાં રહે તે બાળકોને વધુ સારો અભ્યાસ કરાવી શકે. વાસ્તવમાં આંતર જિલ્લા બદલી માટેનો સમયગાળો 10 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કર્યો તે માટે સરકારનો આભાર માનવો જોઈએ.