1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ ધો-9થી 12ના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાશે

ગુજરાતઃ ધો-9થી 12ના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ-9 થી 12ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. તેમ જણાવીને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે, વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે. તે ઉપરાંત ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે, જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને આરોગ્ય સુધરશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ખતરનાક રસાયણોથી મુક્ત ખેતીના ભાવિ માટે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી તે માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેવી જ રીતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરી રાજ્યના ખેડૂતો પાસે કુદરતી ખેતી કરાવવાના સંકલ્પ સાથે એક મુહિમ છેડી છે. રાજ્યમાં આ ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મૂકી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્યના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ-9 ના સામાજિક વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ ક્રમશઃ ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ના અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.

મંત્રીએ વધુ ઉમેર્યું કે, શૈક્ષણિક વર્ષ 2022-23થી ધોરણ-9માં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેથી ધોરણ-9ના બાળકોને આ વર્ષે જ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમ દ્વારા તેની જાણકારી પ્રાપ્ત થશે. હવે પછીના વર્ષોમાં ક્રમશ: આગળના ધોરણોમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવનાર છે.

મંત્રીએ ઉમેર્યું કે, “ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય” શીર્ષક હેઠળ ઉમેરવામાં આવેલા આ પ્રકરણમાં ભારતીય કૃષિનો ઇતિહાસ ઉપરાંત પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા, હરિયાળી ક્રાંતિનો ઉદ્ભભવ અને તેના પરિણામો, પ્રાકૃતિક ખેતી એટલે શું? તથા શા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે તેની વિસ્તૃત સમજ આ પ્રકરણમાં આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code