ગુજરાતઃ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદનો તાજ કોના શીરે મુકાશે ? નવા ચહેરાને પસંદ કરવા માગ
અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસમાં પદાધિકારીઓની નિમણુંકોમાં ફરીવાર જુથબંધી જોવા મળી રહી છે. જુના જોગીઓ ફરીવાર પદ મંળવવા માટે મેદાનમાં આવ્યા છે. જેના લીધે જુથબંધી વકરી છે. પ્રદેશ પ્રમુખથી લઈને સંગઠનના માળખામાં યુવાઓને સ્થાન મળશે કે કેમ તે અંગે પ્રશ્ન ઊભો થયો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તથા વિધાનસભામાં વિપક્ષના નેતાની નિમણૂકની ગતિવિધિ તેજ થઇ રહી છે, એવા સંજોગોમાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પક્ષના હાઇકમાન્ડના નેતાઓને મળવા દિલ્હી પહોંચી સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જોકે સોનિયા ગાંધી સાથે હજુ મુલાકાત આપી નથી. પ્રદેશ પ્રમુખ બનાવવા પોતાનો પક્ષ રાખવા માટે સોલંકી દિલ્હીમાં ધામા નાખીને બેઠા છે. જ્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યોમાંથી અર્જુન મોઢવાડિયાને પ્રમુખ બનાવવાની માગ ઊઠી છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભરતસિંહની આ મુલાકાત કોઇ ભવિષ્યની ઘટનાઓને લઇને નથી, પણ ઔપચારિક છે. સૂત્રોના કહેવા મુજબ ગયા શનિવારે ભરતસિંહે એક ફાર્મ હાઉસમાં પોતાના સમર્થન કરતા 20-25 નેતા અને ધારાસભ્યોની બેઠકમાં તેમણે હાઇકમાન્ડને પોતાના સંખ્યાબળના સમર્થનનો સંકેત આપ્યો હોવાનું જ માની શકાય. આ તરફ વિપક્ષના નેતાપદ માટે પણ પ્રદેશ અને જ્ઞાતિ સમીકરણને લઇને દાવેદારી વધી છે.
ઓબીસી સમાજ તરફથી કોળીનેતા પૂજા વંશ અને ઠાકોર નેતા બળદેવજી ઇચ્છા રાખીને બેઠા છે. આ તરફ સૌરાષ્ટ્ર પાટીદાર નેતા વિરજી ઠુંમર તથા દલિત સમાજના શૈલેશ પરમાર પણ દાવેદારી કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે પદાધિકારીઓની નિમણૂંકને મુદ્દે કાંગ્રેસનું હાઈ કમાન્ડ પણ મુંઝવણભરી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ યુવાન અને નવા ચહેરાને સ્થાન આપવાની માગ ઊઠી છે. એના એજ ચહેરાને રિપિટ કરવામાં આવશે તો કાર્યકરોનો ઉત્સાહ ભાંગી જશે એવું કાર્યકરો જ કહી રહ્યા છે.