લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી અને આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરાશે. 10મી માર્ચના રોજ જ ઉત્તરપ્રદેશમાં કંઈ પાર્ટી સરકાર બનાવે છે તેનો ખ્યાલ આવી જશે. જો કે, એક્ઝિટ પોલના આધારે ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. જો એક્ઝિટ પોલના આંકડા સાચા પડશે તો ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર યોગી આદિત્યનાથ સીએમ બને તેવી શકયતા છે. આ સાથે જ યોગી મુખ્યમંત્રી તરીકે ઓછામાં ઓછા ચાર રેકોર્ડ પોતાના નામે કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલા જ સીએમ યોગી આદિત્યનાથે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. યુપીમાં અત્યાર સુધીમાં કુલ 21 સીએમ બની ચૂક્યા છે, જેમાંથી માત્ર ત્રણ સીએમ જ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા છે. યોગી પહેલા બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ (2007 અને 2012) પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આ પછી અખિલેશ યાદવે પણ 2012 થી 2017 સુધી પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. એક્ઝિટ પોલ મુજબ, જો ભાજપ સત્તા હાંસલ કરે છે તો યોગી આદિત્યનાથ 15 વર્ષ પછી યુપીના સીએમ બનશે જે વિધાનસભાના સભ્ય હશે. તેઓ 2017-22ના કાર્યકાળ દરમિયાન વિધાન પરિષદના સભ્ય હતા. અખિલેશ યાદવ વિધાન પરિષદના સભ્ય તરીકે મુખ્યમંત્રી પણ બન્યા.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થાય છે તો યોગી 37 વર્ષ બાદ સતત બીજી વાર શપથ લેનારા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસના નારાયણ દત્ત તિવારી 1985માં અવિભાજિત યુપીના સીએમ હતા જ્યારે રાજ્યમાં ચૂંટણીઓ યોજાઈ હતી. કોંગ્રેસનો વિજય થયો અને તેઓ સતત બીજી મુદત માટે આ પદ પર રહ્યા. ત્યારપછી અન્ય કોઈ મુખ્યમંત્રી સતત બીજી વખત મુખ્યમંત્રીની ખુરશી જાળવી શક્યા નથી. યોગી આદિત્યનાથ આ રેકોર્ડ બનાવી શકે છે.
યુપીમાં અત્યાર સુધીમાં ભાજપના ચાર સીએમ જોવા મળ્યા છે. યોગી આદિત્યનાથ પહેલા કલ્યાણ સિંહ, રામ પ્રકાશ ગુપ્તા અને વર્તમાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાજ્યના સીએમ બની ચૂક્યા છે. જો કે, આદિત્યનાથ પહેલા બીજેપીના કોઈપણ સીએમ સતત બીજી ટર્મ માટે સત્તા જાળવી શક્યા નથી. યોગી આદિત્યનાથ પાસે નવો રેકોર્ડ બનાવવાની તક છે.