1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં આવાસ યોજનામાં નિયત રકમ ભરનારા 34 લાભાર્થીઓને હવે મકાનો નહીં મળે
ગાંધીનગરમાં આવાસ યોજનામાં નિયત રકમ ભરનારા 34 લાભાર્થીઓને હવે મકાનો  નહીં મળે

ગાંધીનગરમાં આવાસ યોજનામાં નિયત રકમ ભરનારા 34 લાભાર્થીઓને હવે મકાનો નહીં મળે

0
Social Share

ગાંધીનગરઃ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી યાને ગુડા’ (ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ) દ્વારા ઘર વિહોણા લોકોને રાહત ભાવે મકાનો આપવામાં આવે છે. આ આવાસ યોજના થકી દરેક વર્ગના લાભાર્થીઓને ઘરનું ધર મળી રહે તે અર્થે વિવિધ આવાસ યોજનાની સ્કીમો મૂકીને ડ્રો કરીને આવાસોની ફાળવણી કરવામાં આવતી હોય છે. જુદી-જુદી સ્કીમ મુજબ આવેલી અરજીઓને ધ્યાને લઈને ગુડા દ્વારા ડ્રો કર્યા બાદ તબક્કાવાર નિયત કરેલી રકમ ભરવા માટે લાભાર્થીઓને સમય આપવામાં આવતો હોય છે. પરંતુ કેટલાક લાભાર્થીઓ દ્વારા નિયત કરેલી રકમ ભરવામાં ન આવતાં જુદી-જુદી આવાસ યોજનાના 34 લાભાર્થીઓના આવાસની ફાળવણી રદ્દ કરીને આવાસ જપ્ત કરી દીધાં છે. હવે આ આવાસો પ્રતિક્ષાયાદીમાં રહેલા અન્ય લાભાર્થીઓને ફાળવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અડાલજ અને કૂડાસણ વિસ્તારમાં ઘર વિહોણા લોકો માટે આવસો બનાવીને તેનો ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રોમાં જે લોકોને મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા નિયત રકમ ભરવામાં આવતી નહતી. નિયત કરેલી રકમ ભરવા માટે તંત્રે સયમાંતરે લાભાર્થીઓને તબક્કાવાર નોટિસ પણ આપી હતી. ત્રણ વખત નોટિસ આપ્યાં બાદ પણ નોટિસને ગણકાર્યા વગર રૂપિયા ન ભરનાર લાભાર્થીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું હોય તેમ ફાળવણી રદ્દ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી ચૂક્યું છે. જેથી કરીને આગામી દિવસોમાં વિવિધ સ્કીમ મુજબ વેઈટિંગમાં રહેલાં 34 જેટલાં લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. જેના માટેની ઘટતી કાર્યવાહી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં ‌આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુડા દ્વારા વર્ષ 2015-16ની અડાલજ ખાતેની એલઆઈજી-2ની સ્કીમના સૌથી વધુ 22 આવાસોની ફાળવણી રદ્દ કરી છે. આ ઉપરાંત કુડાસણ ખાતે આવેલ એમઆઈજી સ્કીમમાં 7 અને ઈડબલ્યુએસ-2ની સ્કીમના 5 આવાસોની ફાળવણી રદ્દ કરીને આગાળની વેંઈટિંગ લાગુ કરવાની કામગીરી હાથ ધરી છે. છેલ્લા કેટલાંક સમયથી ગુડા જરૂરીયાતમંદ લાભાર્થીઓને જ લાભ મળી રહે તેવા હેતુસર દાખલો બેસાડી શકે તેવાં પગલાં ભરી રહ્યું છે. આવાસ યોજનાના સ્કીમમાં પઝેશન આપ્યાં બાદ પણ નિયત રકમ ભરવામાં પાછી પાની કરતાં લાભાર્થીઓની ફાળવણી રદ્દ કરવા માટે તંત્રે છેલ્લા 3 માસથી નોટીસનો દૌર ચલાવ્યો હતો. તમામ પ્રકારની નિયમોનુસાર કાર્યવાહી અને લાભાર્થીને જાણ કરીને તક આપ્યાં બાદ પણ રકમ ના ભરનાર 34 લાભાર્થીની ફાળવણી રદ્દ કરી નાંખવામાં આ‌વી છે.

ફાળવણી રદ્દ કરાયાની સાથે વિવિધ આવાસ યોજનાના ફોર્મ ભરવા માટે લાભાર્થીઓ દ્વારા અગાઉ ભરેલી ડિપોઝીટની રકમ પણ હવે ગુડા જપ્ત કરશે. 34 લાભાર્થીઓની ફાળવણી રદ્દ કરાતાં અંદાજીત 8 લાખ જેટલી ડિપોઝીટ ગુડાને મળવાપાત્ર થશે, એલઆઈજીની સ્કીમમાં 25 હજાર તથા એમઆઈજી અને ઈડબલ્યુએસની સ્કીમમાં અનુક્રમે 30 હજાર અને 7500 રૂપિયા ડિપોઝીટ ગુડા દ્વારા લેવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code