ગુજરાતમાં વૈશાખના પ્રારંભથી જ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, ગરમી વધીને 44 ડિગ્રીએ પહોંચશે
અમદાવાદઃ ચૈત્ર મહિનો પૂર્ણ થતાં હવે વૈશાખ મહિનાનું આગમન થઈ રહ્યું છે. હજુ ઉનાળાના બે મહિના બાકી છે. એટલે કે ચોમાસાના આગમનને બે મહિના બાકી છે, ત્યારે સૂર્ય નારાયણ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જો કે, સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ છે પણ હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકો અસહ્ય ઉકળાટ યાને બફારો અનુભવી રહ્યા છે. દરમિયાન હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ વૈશાખના આરંભે કાળઝાળ ગરમી અનુભવાશે. અમદાવાદ સહિતના મહાનગરોમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગત સપ્તાહે કમોસમી વરસાદ બાદ હાલ છેલ્લા બે દિવસથી ગરમીના પ્રમાણ વધી રહ્યું છે. એકાદ દિવસમાં વાદળો વિખેરાઈ ગયા બાદ તા.16-17 દક્ષિણ અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ સર્જાશે. ઉતર ભારતના જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ઉતરાખંડ વિસ્તારો વરસાદ પડવાની સંભાવના છે.
હાલના દિવસોમાં મહતમ તાપમાન નોર્મલ હોય છે પરંતુ અમદાવાદ 43.1, રાજકોટ-ગાંધીનગર 41.8 ડીગ્રી હતું. અમરેલીમાં 42.2 ડિગ્રી, વિદ્યાનગર 42 ડિગ્રી, વડોદરા 41.4 , ડિગ્રી કંડલા 40.8 ડિગ્રી નોંધાયુ હતું તે સામાન્ય કરતા વધુ હતું. આગામી તા.11થી17 સુધી પવન મુખ્યત્વે ઉતર પશ્ચીમ અને પશ્ચીમ દિશાનો રહેશે. તા.10 થી 14 દરમિયાન પવનની ગતિ સરેરાશ 15થી30 કી.મી. અને બાકીના દિવસોમાં 10થી15 કી.મી. રહેશે. હાલ વાદળા છૂટાછવાયા છે તેનું પ્રમાણ ઓછુ થશે.
તા.14થી15 દરમિયાન ફરી વાદળો છવાશે. આગામી છેલ્લા બે દિવસ તા.16 અને 17 દક્ષિણ અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ બનશે. જે મુખ્યત્વે ઉતર બાજુ ગતિ કરશે જેની અસર તા.14મીથી વર્તાશે. વેસ્ટ ડીસ્ટર્બન્સથી ઉતર ભારતનાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ઉતરાખંડમાં વરસે વરસે ઉપરાંત પશ્ચીમ બંગાળ આસામ, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજયમાં ચાર દિવસ દરમ્યાન વરસાદ વરસવાની સંભાવના છે.