1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્રના ધણા જળાશયોમાં તળિયા દેખાયા, ગરમી વધતા પાણીની સમસ્યા વિકટ બનશે
ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્રના ધણા જળાશયોમાં તળિયા દેખાયા, ગરમી વધતા પાણીની સમસ્યા વિકટ બનશે

ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્રના ધણા જળાશયોમાં તળિયા દેખાયા, ગરમી વધતા પાણીની સમસ્યા વિકટ બનશે

0
Social Share

રાજકોટઃ ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સાથે કેટલાક વિસ્તારોમાં પાણીની રામાયણ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ઘણા વિસ્તારો પર જળસંકટ તોળાઈ રહ્યું છે.  ઉનાળાના પ્રારંભે આવી સ્થિતિ છે. ત્યારે સૌની યોજના હેઠળ તળાવો ભરવાની પણ માગ ઊઠી છે.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જળાશયોમાં પાણીનું લેવલ ઘટતાં આગામી મહિનામાં પાણીની સમસ્યા વિકટ બનશે. ભાવનગર જિલ્લાના જળાશયો અત્યાથી જ તળિયા ઝાટક થવા લાગ્યા છે. ગરમીનો પારો વધતાં 12 જળાશયોમાંથી 6 જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે. જેમાં  3થી 5 ટકા જ પાણી બચ્યું છે. બીજા 6 જળાશયોમાં 46 ટકાથી 61 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જો કે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીનો જથ્થો 61 ટકા જેટલો હોવાથી લોકોને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે તેમ તંત્રનો દાવો છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના થોરિયાળી, ફલકું, નાયકા અને વળોદ અને ત્રિવેણી ઠાગા સહિતનાં ડેમ કોરા ધાકોર બન્યા છે. બીજી તરફ જિલ્લામાં પાણી માટેના મુખ્ય સ્ત્રોત એવા ધોળીધજા ડેમની જળસપાટી 12 ફુટે પહોંચી ગઈ છે. ધોળીધજા ડેમમાંથી જામનગર અને બોટાદને પણ પાઈપ લાઈનથી પાણી આપવામાં આવે છે..જેના માટે નર્મદાનું પાણી ડેમમાં ઠલવાય છે. જો કે ડેમમાં પાણી ઓછું થતાં અત્યારથી જ ચોટીલા, થાન અને મૂળી પંથકના લોકોએ પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.  જ્યારે અમરેલી જિલ્લાનાં 10 જળાશયોમાં અત્યારે 26થી 56 ટકા સુધી પાણીનો જથ્થો છે. ગયા વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડતા ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી હાલની સ્થિતિ છે..અમરેલી જિલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમમાં 35.63 ટકા પાણી છે. જ્યારે વડી ડેમમાં 27 ટકા જેટલો પાણીનો જથ્થો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરના 14 જળાશયોમાં હાલ 38 ટકા પાણીનો જથ્થો વધ્યો છે. જેમાંથી 4 ડેમના ફેબ્રુઆરીના અંત સુધી તળિયા દેખાય તેવી સ્થિતિ છે..તો બાકીના 10 ડેમમાં જૂન સુધી પાણી ચાલે તેટલું છે. જેથી જામનગરના લોકો માટે પીવાના પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા ઓછી છે. રણજીતસાગર અને સસોઈ સહિતના જળાશયોમાં સૌની યોજનાથી નર્મદાનું પાણી ઠલવાતા પીવાના પાણીની ચિંતા નહીં રહે.

રાજ્યમાં વડોદરા શહેરનું છાણી તળાવ અત્યારથી જ તળિયાઝાટક છે. તળાવ તળાવ જેવું લાગતું જ નથી. સુજલામ સુફલામ અભિયાન હેઠળ 15 કરોડ રૂપિયાનાં ખર્ચે તળાવ ઊંડું તો કરવામાં આવ્યું. પણ તેમાં 6 વર્ષથી પાણી ભરવામાં આવ્યું નથી. મ્યુનિ.કોર્પોરેશને તળાવમાં પાણી ન છોડતાં હાલ તળાવમાં બિલ્ડરો ડ્રેનેજનું પાણી છોડી રહ્યા છે. તળાવ ઊડું કરતાં તેના તળ તૂટી ગયા છે. જેના કારણે તળાવમાં ભરાતા વરસાદી પાણી જમીનમાં ઉતરી જાય છે. રાજ્ય સરકારે ગયા સપ્તાહે જ સુજલામ સુફલામ યોજનાનાં છઠ્ઠા તબક્કાની શરૂઆત કરાવી છે. 104 દિવસ સુધી એટલે કે ઉનાળા સુધી ચાલનારા આ અભિયાન હેઠળ રાજ્યભરમાં તળાવો ઉંડા કરવાની, ચેકડેમ બનાવવાની અને તેમનાં સમારકામ કરવાની તેમજ નહેરો અને કાંસની સફાઈ કરવામાં આવે છે. જેથી ચોમાસામાં પાણીનો સંગ્રહ કરી શકાય. જો કે આ યોજના હેઠળ અગાઉ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા થવી જોઈએ. જેથી વડોદરાનાં છાણી તળાવ જેવો ઘાટ ન સર્જાય.(File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code