1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં 64 મુદ્દાઓ પર અભ્યાસપૂર્ણ, સર્જનાત્મક વિચાર-વિમર્શ કરાયો
ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં 64 મુદ્દાઓ પર અભ્યાસપૂર્ણ, સર્જનાત્મક વિચાર-વિમર્શ કરાયો

ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં 64 મુદ્દાઓ પર અભ્યાસપૂર્ણ, સર્જનાત્મક વિચાર-વિમર્શ કરાયો

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાતના ગવર્નર અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં કહ્યું હતું કે, મહામાનવ પૂજ્ય ગાંધીજીના આદર્શોને જનમાનસ સુધી પહોંચાડવા એ આપણું લક્ષ્ય છે. આ મિશનને પાર પાડવા આપણે એક પરિવારની જેમ સાથે મળીને ઈમાનદારીપૂર્વક કામ કરીએ.

ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક બુધવારે રાજભવનમાં યોજાઈ હતી. વિદ્યાપીઠના કુલપતિ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, હું રાજકારણી નથી, હું સામાજિક કાર્યકર છું. વર્ષોથી ગાંધીવિચારને અનુરૂપ ગુરુકુળમાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય કરું છું. રાજકારણથી બહાર આવીને સહુએ ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા આણવાની આવશ્યકતા છે. શિક્ષણનું સ્તર વધુ ઊંચું લઈ જવાની જરૂર છે. પૂજ્ય ગાંધીજીના ગ્રામોત્થાનના વિચાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. રાષ્ટ્ર નિર્માણના આ મહત્વના કાર્યમાં સકારાત્મકતાથી સૌના સહિયારા પ્રયાસોની આવશ્યકતા છે.

 

કુલપતિ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં વિદ્યાપીઠના શૈક્ષણિક સ્તરને વધુ શ્રેષ્ઠ બનાવવા, વહીવટ અને વ્યવસ્થાપનને વધુ સરળ અને સુદ્રઢ બનાવવા તથા આર્થિક બાબતોને લઈને વિવિધ 64 મુદ્દાઓ પર વિસ્તૃત અને વિગતવાર વિચાર-વિમર્શ કરાયો હતો. ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી  ડૉ. હર્ષદ પટેલે તમામ મુદ્દાઓની અભ્યાસપૂર્ણ વિશદ્ છણાવટ કરીને મંડળ સમક્ષ મૂક્યા હતા. મંડળના તમામ સભ્યોએ પૂર્ણ હકારાત્મકતા સાથે ચર્ચામાં ભાગ લીધો હતો. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં અનેક સર્જનાત્મક નિર્ણયો લેવાયા હતા. આ નિર્ણયો ગૂજરાત વિદ્યાપીઠને આગામી સમયમાં નવી ઊંચાઈઓ આપશે. ચર્ચામાં ભાગ લેતાં  સખાવતી-દાનવીર અને  ગાંધીવાદી રાજશ્રીબેન બિરલાએ કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠમાં પસંદગીના ઉચ્ચ અભ્યાસક્રમોમાં સમયની માંગ પ્રમાણે ગુજરાતી માધ્યમની સાથે હિન્દી માધ્યમમાં પણ અભ્યાસ કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.

ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી પદ્મશ્રી ગફૂરભાઈ બિલખીયાએ કહ્યું હતું કે, હું ‘ગાંધીજન’ છું. પૂજ્ય ગાંધીજીએ ચીંધેલું  આ કામ ઈશ્વરીય કાર્ય છે. સૌના સહયોગ અને સહિયારા પ્રયત્નોથી ગુજરાત વિદ્યાપીઠમાં નવા ઉમંગ, ઉત્સાહ અને ચેતનાનો સંચાર થયો છે. ટ્રસ્ટી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, સાચા અર્થમાં ‘દિગ્ગજ’ કહેવાય એવા વિદ્વાન કુલપતિ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ગુજરાત વિદ્યાપીઠનું સમગ્ર વહીવટીતંત્ર સુવ્યવસ્થિત થઈ રહ્યું છે. ટ્રસ્ટી  હસમુખ પટેલે કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકોમાં હું સક્રિયતાથી ભાગ લઈ રહ્યો છું અને પ્રસન્નતાપૂર્વક જોઈ રહ્યો છું કે અહીં એક પણ વાત-વસ્તુ કે વિચાર ગાંધીવિરોધી નથી. તમામ લોકો ખૂબ ખંત અને મહેનતથી ઈમાનદારીપૂર્વક કામ કરી રહ્યા છે. કુલનાયક  ડૉ. ભરત જોશી, રજીસ્ટ્રાર  ડૉ. નિખિલ ભટ્ટ તથા ગૂજરાત વિદ્યાપીઠ મંડળના તમામ ટ્રસ્ટીઓએ આ બેઠકમાં સક્રિયતાથી ભાગ લઈને રચનાત્મક સૂચનો કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code