1. Home
  2. ગુજરાતી
  3. ભારતે લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસની વ્યૂહરચના UCFCCC ને સુપરત કરી
ભારતે લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસની વ્યૂહરચના UCFCCC ને સુપરત કરી

ભારતે લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસની વ્યૂહરચના UCFCCC ને સુપરત કરી

0
Social Share

નવી દિલ્હીઃ ભારતે આજે 27મી કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી27) દરમિયાન યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસીસી)ને તેની લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસ વ્યૂહરચના સુપરત કરી હતી. લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસ વ્યૂહરચના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેઓ 6-18 નવેમ્બર, 2022 સુધી ઇજિપ્તના શર્મ-અલ-શેખ ખાતે આયોજિત થઈ રહેલી સીઓપી 27માં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ વ્યૂહરચનાની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે. 

  1. ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સંસાધનોના તર્કસંગત ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અશ્મિભૂત ઇંધણમાંથી સંક્રાંતિ ન્યાયી, સરળ, ટકાઉ અને સર્વસમાવેશક રીતે હાથ ધરવામાં આવશે.૨૦૨૧માં શરૂ કરાયેલા રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનનો હેતુ ભારતને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવાનો છે. ગ્રીન હાઇડ્રોજનનાં ઉત્પાદનનું ઝડપી વિસ્તરણ, દેશમાં ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન ક્ષમતામાં વધારો અને 2032 સુધીમાં પરમાણુ ક્ષમતામાં ત્રણ ગણો વધારો એ અન્ય કેટલાંક સીમાચિહ્નો છે જેની કલ્પના વીજ ક્ષેત્રના એકંદર વિકાસની સાથે કરવામાં આવી છે.
  2. જૈવિક બળતણનો વધતો ઉપયોગ, ખાસ કરીને પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ, ઇલેક્ટ્રિક વાહનોની પહોંચ વધારવાની ઝુંબેશ અને ગ્રીન હાઇડ્રોજન ઇંધણના વધતા ઉપયોગથી પરિવહન ક્ષેત્રમાં ઓછા કાર્બન વિકાસ તરફ દોરી જશે તેવી અપેક્ષા છે. ભારત વર્ષ 2025 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ, ઇથેનોલ મિશ્રણ 20 ટકા સુધી પહોંચવા તથા ઉતારૂ અને નૂર માટે જાહેર પરિવહનમાં મજબૂત મોડલ શિફ્ટ કરવાની આકાંક્ષા ધરાવે છે.
  3. જ્યારે શહેરીકરણ આપણા વર્તમાન પ્રમાણમાં નીચા પાયાથી મજબૂત વલણ તરીકે જળવાઈ રહેશે, ત્યારે ભવિષ્યના સાતત્યપૂર્ણ અને આબોહવાને અનુકૂળ શહેરી વિકાસ સ્માર્ટ સિટીની પહેલ, અનુકૂલનને મુખ્ય પ્રવાહમાં લાવવા અને ઊર્જા અને સંસાધન કાર્યદક્ષતા વધારવા માટે શહેરોનાં સંકલિત આયોજન, અસરકારક ગ્રીન બિલ્ડિંગ કોડ્સ અને નવીન ઘન અને પ્રવાહી કચરાનાં વ્યવસ્થાપનમાં ઝડપી વિકાસ દ્વારા સંચાલિત થશે.
  4. આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનાં પરિપ્રેક્ષ્યમાં ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર મજબૂત વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર રહેશે. આ ક્ષેત્રમાં ઓછા કાર્બન વિકાસની સંક્રાંતિથી ઊર્જા સુરક્ષા, ઊર્જા સુલભતા અને રોજગારી પર કોઈ અસર થવી જોઈએ નહીં. તેમાં પરફોર્મ, અચીવ એન્ડ ટ્રેડ (પીએટી) યોજના, નેશનલ હાઇડ્રોજન મિશન, તમામ પ્રસ્તુત પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓમાં ઉચ્ચ સ્તરનું વીજળીકરણ, સર્ક્યુલર ઇકોનોમીનાં વિસ્તરણ તરફ દોરી જતી સામગ્રીની કાર્યદક્ષતા અને રિસાયક્લિંગમાં વધારો કરવા તથા સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને અન્ય જેવાં હાર્ડ-ટુ-એબેટ ક્ષેત્રો (નેટ ઝીરો મુશ્કેલ હોય એવાં ક્ષેત્રો) માટે વિકલ્પો ચકાસવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  5. ભારત ઉચ્ચ આર્થિક વૃદ્ધિની સાથે સાથે છેલ્લા ત્રણ દાયકામાં જંગલો અને વૃક્ષોનાં આવરણને વધારવાનો મજબૂત રેકોર્ડ ધરાવે છે. ભારતમાં જંગલમાં લાગેલી આગની ઘટનાઓ વૈશ્વિક સ્તરથી ઘણી ઓછી છે, જ્યારે તેનાં જંગલો અને વૃક્ષોનું આવરણ  નેટ સિંક છે, જે વર્ષ 2016માં કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનનો 15 ટકા હિસ્સો શોષી લેતાં હતાં. ભારત વર્ષ 2030 સુધીમાં વન અને વૃક્ષોનાં આવરણમાં 2.5થી 3 અબજ ટન વધારાનાં કાર્બન સેક્વેટ્રેશન-ભંડારણની એનડીસી કટિબદ્ધતા પૂર્ણ કરવાના માર્ગે અગ્રેસર છે.
  6. ઓછા કાર્બન વિકાસ માર્ગ તરફની સંક્રાંતિમાં નવી ટેકનોલોજીઓનો વિકાસ, નવી માળખાગત સુવિધાઓ અને અન્ય વ્યવહારોના ખર્ચને લગતા કેટલાક ખર્ચાઓનો સમાવેશ થશે. કેટલાક અંદાજો અસ્તિત્વમાં છે, જે તમામ અભ્યાસોમાં અલગ-અલગ છે, પરંતુ તે તમામ સામાન્ય રીતે 2050 સુધીમાં ટ્રિલિયન ડૉલર્સની રેન્જમાં આવી જાય છે. વિકસિત દેશો દ્વારા આબોહવા ધિરાણની જોગવાઈ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને યુએનએફસીસીસીના સિદ્ધાંતો અનુસાર, મુખ્યત્વે સરકારી સ્રોતોમાંથી વ્યાપ, અવકાશ અને ઝડપ સુનિશ્ચિત કરવા માટે અનુદાન અને રાહત લોન સ્વરૂપે તેને નોંધપાત્ર રીતે વધારવાની જરૂર છે.

પેરિસ સમજૂતીમાં ફકરા 19ના અનુચ્છેદ 4માં જણાવવામાં આવ્યું છે કે, “તમામ પક્ષોએ વિવિધ રાષ્ટ્રીય સંજોગોને ધ્યાનમાં રાખીને, તેમની સમાન પરંતુ વિભિન્ન જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને, કલમ 2 વિશે સભાન રહીને, લાંબા ગાળાની ઓછાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન વિકાસ વ્યૂહરચનાઓ ઘડવા અને સંદેશાવ્યવહાર કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.”

વધુમાં, નવેમ્બર 2021માં ગ્લાસગો ખાતે સીઓપી 26, નિર્ણય 1 / સીપી.26 માં, અન્ય બાબતો ઉપરાંત,  (i) જે પક્ષોએ હજી સુધી આવું કર્યું નથી તેમને સીઓપી 27 (નવેમ્બર 2022) દ્વારા તેમના એલટી-એલઇડીનો સંચાર કરવા વિનંતી કરાઇ હતી.

આ દસ્તાવેજ પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલય દ્વારા તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગો, રાજ્ય સરકારો, સંશોધન સંસ્થાઓ અને નાગરિક સમાજ સંગઠનો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કર્યા પછી તૈયાર કરવામાં આવ્યો છે.

ભારતનો અભિગમ નીચેની ચાર ચાવીરૂપ બાબતો પર આધારિત છે, જે તેની લાંબા ગાળાની ઓછા-કાર્બન વિકાસની વ્યૂહરચનાને ટેકો આપે છેઃ

  1. ગ્લોબલ વોર્મિંગમાં ભારતે બહુ ઓછો ફાળો આપ્યો છે, વિશ્વની કુલ વસતીમાં ~17% હિસ્સો હોવા છતાં સંચિત વૈશ્વિક ગ્રીનહાઉસ વાયુનાં ઉત્સર્જનમાં તેનું ઐતિહાસિક પ્રદાન બહુ ઓછું છે.
  2. ભારતને વિકાસ માટે નોંધપાત્ર ઊર્જાની જરૂરિયાતો છે.
  3. ભારત વિકાસ માટે ઓછા-કાર્બનની વ્યૂહરચનાઓ અપનાવવા માટે પ્રતિબદ્ધ છે અને રાષ્ટ્રીય સંજોગો અનુસાર સક્રિયપણે તેને અનુસરી રહ્યું છે.
  4. ભારતે આબોહવા સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવાની જરૂર છે.

ભારતે પેરિસમાં જે બાબતો પર ભાર મૂક્યો હતો તે રાષ્ટ્રીય સંજોગોને ધ્યાનમાં રાખીને ઇક્વિટી અને કોમન બટ ડિફરેન્શિએટેડ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ રિસ્પેક્ટિવ કૅપેબિલિટિઝ (સીબીડીઆર-આરસી)ના સિદ્ધાંતોની સાથે સાથે “આબોહવા ન્યાય” અને “સાતત્યપૂર્ણ જીવનશૈલી”ના બે વિષયો ઓછાં કાર્બનવાળાં, ઓછાં ઉત્સર્જનનાં ભવિષ્યનાં હાર્દમાં છે.

એ જ રીતે, એલટી-એલઇડીએસ (લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસની વ્યૂહરચના) ને વૈશ્વિક કાર્બન બજેટના સમાન અને વાજબી હિસ્સાના ભારતના અધિકારનાં માળખામાં તૈયાર કરવામાં આવ્યું છે, જે “આબોહવા ન્યાય” માટેનાં ભારતના આહ્વાનનો વ્યવહારિક અમલ છે. પર્યાવરણનું સંરક્ષણ કરતી વખતે ભારતના ઝડપી વિકાસ અને આર્થિક કાયાકલ્પનાં સ્વપ્નને સાકાર કરવામાં કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે.

એલટી-એલઇડીએસ લાઇફ, લાઇફ સ્ટાઇલ ફોર ધ એન્વાયર્નમેન્ટનાં વિઝન દ્વારા પણ માહિતગાર છે, જે બુદ્ધિહીન અને વિનાશક વપરાશથી વિવેકી અને હેતુપૂર્વકના ઉપયોગ તરફ વિશ્વવ્યાપી દાખલારૂપ પરિવર્તનનું આહ્વાન કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code