રશિયા યુક્રેન પર હુમલો કરે તો તેની અસર ભારતને પણ થશે
- રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ
- ભારતને પણ થઈ શકે છે અસર
- રશિયા અને યુક્રેન બોર્ડર પર માહોલ ગરમ
અમદાવાદ: રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ ન સર્જાય તે માટે વિશ્વના તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે. રશિયા હાલ બોર્ડર પર આક્રમક વલણ દાખવી રહ્યું છે અને દુનિયાના કોઈ દેશને ગાંઠવા માટે તૈયાર નથી ત્યારે કેટલાક જાણકારો દ્વારા તે પણ કેહવામાં આવ્યું છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય તો તેની અસર ભારતને પણ થઈ શકે છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જો અમેરિકા રશિયાની વિરુદ્ધ કડક પ્રતિબંધ મૂકશે તો આનાથી ભારતની મુશ્કેલી વધશે. આટલું જ નહીં એસ-400 એર ડિફેન્સ સમજૂતી સામે પણ સંકટ ઉભુ થઇ શકે છે. હાલ યુક્રેન અંગે વિશ્વની બે મહાશક્તિઓ અમેરિકા અને રશિયાની વચ્ચે તંગદિલી ખૂબ જ વધી ગઇ છે. અમેરિકન બોમ્બર યુરોપમાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે. બીજી તરફ રશિયાએ પણ હાયપરસોનિક મિસાઇલ તૈનાત કરી દીધી છે. અમેરિકન પ્રમુખ જો બાઇડેન જાહેરાત કરી છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તે મોસ્કો વિરુદ્ધ ખૂબ જ કડક પ્રતિબંધ મૂકશે.
આ ઉપરાંત યુક્રેનમાં વસતા હજારો ભારતીયોને ભારત પરત લાવવા પડશે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થશે તો ઓઇલના ભાવ આકાશને સ્પર્શ કરશે અને ફુગાવો ખૂબ જ વધી જશે. ભારત માટે સૌથી મોટી મુશ્કેલી ત્યારે થશે જ્યારે રશિયા યુક્રેનમાં જનમત સંગ્રહ કરાવવાની માગ કરશે. રશિયાએ ક્રીમિયા પર આ જ આધાર પર કબજો કરી લીધો હતો. રશિયાએ દાવો કર્યો હતો કે ક્રીમિયાના 90 ટકા લોકોએ રશિયા સાથે જોડાવવાનું સમર્થન કર્યુ હતું. જો રશિયા ફરીથી જનમત સંગ્રહની વાત કરશે તો ભવિષ્યમાં પાકિસ્તાન પણ પીઓકેમાં જનમત સંગ્રહ કરાવવાની માગ કરશે.