સ્પેસ સેક્ટરમાં ભારતનો નવો ઇતિહાસ: પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1નું શ્રીહરિકોટાથી સફળ ઉડાન તરફ પ્રયાણ
શ્રીહરિકોટા, 18 જુલાઈ 2026 : ભારતના સ્પેસ સેક્ટરમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. શનિવારે સવારે 11.30 વાગ્યે નિર્ધારિત આ લોન્ચિંગ પ્રક્રિયાને ટેકનિકલ કારણોસર લોન્ચિંગના થોડા સમય પહેલા જ અટકાવી દેવામાં આવી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તમામ ચકાસણી પૂર્ણ કરી રોકેટનું લોન્ચિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના આ પ્રથમ ખાનગી રોકેટના લોન્ચિંગની ભારોભાર પ્રશંસા કરી છે. તેમણે આ મિશનને દેશની સ્પેસ જર્નીમાં એક ‘ઐતિહાસિક નવી સીમા’ ગણાવ્યું હતું. પીએમ મોદીએ ઉમેર્યું કે, આ સિદ્ધિ ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા અને તેમની સાહસિક ઉદ્યોગસાહસિકતાની ભાવનાનું ઉત્કૃષ્ટ પ્રતિબિંબ છે. આ ઐતિહાસિક ઉડાનને ‘મિશન આગમન’નામ આપવામાં આવ્યું છે, જે ‘વિક્રમ-1’ રોકેટની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ (પરીક્ષણ ઉડાન) છે. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવેલા આ ઓર્બિટલ લોન્ચ વ્હીકલની ક્ષમતાઓની ચકાસણી કરવા માટે આ મિશન હાથ ધરવામાં આવ્યું છે.
-
‘વિક્રમ-1’ રોકેટની વિશેષતાઓ અને તાકાત
ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક ડૉ. વિક્રમ સારાભાઈના સન્માનમાં આ રોકેટનું નામ ‘વિક્રમ-1’ રાખવામાં આવ્યું છે. તેની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે,
હલકું અને મજબૂત માળખું: આ 24 મીટર લાંબું રોકેટ સંપૂર્ણપણે કાર્બન-કમ્પોઝિટ સ્ટ્રક્ચરથી બનેલું છે. કાર્બન ફાઈબર સૌથી મજબૂત સ્ટીલ કરતાં પણ પાંચ ગણું હલકું હોવાથી રોકેટનું વજન ઘટ્યું છે અને તેની કાર્યક્ષમતામાં ધરખમ વધારો થયો છે.
મલ્ટિપલ સેટેલાઇટ લોન્ચ ક્ષમતા: રોકેટમાં ત્રણ સોલિડ પ્રોપલ્શન સ્ટેજ છે. તેની સૌથી ઉપર ‘ઓર્બિટલ એડજસ્ટમેન્ટ મોડ્યુલ’ લગાવવામાં આવ્યું છે, જે એક જ મિશનમાં અલગ-અલગ સેટેલાઇટ્સને જુદી-જુદી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં સક્ષમ છે.
લોડ કેપેસિટી: વિક્રમ-1 રોકેટ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (LEO – 450 કિમી)માં ૩૫૦ કિલોગ્રામ સુધીના નાના ઉપગ્રહોને લઈ જવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
-
વૈશ્વિક બજારમાં ભારતનો દબદબો વધશે
અત્યાર સુધી ભારતમાં ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું કામ માત્ર સરકારી સંસ્થા ઇસરો જ કરતી હતી. પરંતુ ‘વિક્રમ-1’ની સફળતા બાદ હવે ભારતની ખાનગી કંપનીઓ પણ વૈશ્વિક સ્તરે કોમર્શિયલ લોન્ચિંગની સેવાઓ આપી શકશે. IN-SPACe ના ટેકનિકલ ડાયરેક્ટર રાજેશ જોથીના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં સ્પેસ સેક્ટરમાં થયેલા સુધારા બાદ ખાનગી કંપનીઓની ભાગીદારી ઝડપથી વધી છે. આ મિશન નાના ઉપગ્રહોના વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
-
ચોખાના દાણાથી નાની મૂર્તિઓ અને પીએમનો સંદેશ પણ અવકાશમાં જશે
મિશન આગમન હેઠળ રોકેટની સાથે કેટલાય અનોખા પેલાઇડ્સ મોકલવામાં આવ્યા છે:
લેબ-ગ્રોન ડાયમંડ: બેંગલુરુની કંપની ‘કોસ્મોસ ડાયમંડ્સ’ દ્વારા ખાસ લેબમાં તૈયાર કરાયેલું ‘ડાયમંડ લોટસ’ સ્પેસમાં મોકલાયું છે.
અદભુત માઇક્રોઆર્ટ: કલાકાર અજય કુમાર મત્તેવાડા દ્વારા ૧૮ કેરેટ સોનામાંથી બનાવેલું એક નાનું રોકેટ મોકલવામાં આવ્યું છે. આ મિની રોકેટની અંદર ભારતના ત્રણ મહાન વૈજ્ઞાનિકો – સર સી.વી. રમન, ડૉ. વિક્રમ સારાભાઈ અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની ચોખાના દાણા કરતાં પણ નાની અત્યંત સૂક્ષ્મ મૂર્તિઓ કંડારવામાં આવી છે.
પીએમનો સંદેશ: આ મિશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હસ્તલિખિત પોસ્ટકાર્ડ પણ મોકલવામાં આવ્યો છે, જેના પર વંદે માતરમ લખેલું છે. આ સિવાય કંપનીની ટીમ, રોકાણકારો અને વિશ્વભરના શુભેચ્છકોના સંદેશા પણ સ્પેસમાં મોકલવામાં આવ્યા છે.


