રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, પંજાબીઓ અને વિદેશી પતંગબાજોએ ગરબે રમીને પતંગો ચગાવ્યાં
રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અને પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાયા હતા. જયારે ભારત દેશના બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના રાજ્યોના પતંગજાજોએ પણ ભાગ લીધો હતો. આ પતંગ મહોત્સવમાં પંજાબીઓ અને વિદેશીઓએ સવારમાં ડાન્સ, ભાંગડા અને ગરબા રમીને કર્યો હતો.. ડાન્સ-ગરબા બાદ પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાવી મોજ માણી હતી પંજાબની ટીમે પતંગ સાથે દેશભક્તિનો સંદેશો પણ આપ્યો હતો.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાયલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાયા હતા. જ્યારે ભારત દેશના બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના અન્ય રાજ્યોના પતંગવીરો જોડાયા હતા. આ તકે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
ચંદીગઢથી આવેલા એક પતંગબાજે જણાવ્યુ હતું કે, હું 45 વર્ષથી પતંગો સાથે જોડાયેલો છું. અમદાવાદનાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પાંચમી વખત તેમજ રાજકોટમાં બીજીવાર સામેલ થયો છું. પતંગોથી આખી દુનિયા એકબીજા સાથે જોડાય છે અને લોકોને શાંતિ તેમજ પ્રેમથી રહેવાનો સંદેશ આપે છે. અમુક દેશો લડાઈ કરે છે તે યોગ્ય નથી અને પતંગો શાંતિનો સંદેશ આપતી હોવાથી મને પતંગો ખૂબ જ પસંદ છે. એક ધરતી છે. અને આપણે તેના ભાગ પાડ્યા છે. જે યોગ્ય નથી. પતંગોને કોઈ સીમા નડતી નથી. તેમ લોકોએ પણ આવી માન્યતાઓથી દૂર રહેવું જોઈએ.
આ તકે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના અનેક દેશના પતંગવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. મહોત્સવનાં પ્રારંભે વિદેશી લોકો પણ ગરબે ઘૂમ્યા હતા. સાંજે 5 સુધી ચાલનારા આ મહોત્સવમાં અવનવી પતંગો ઊડતી જોવા મળશે.