રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકથી સવા મહિના જેટલો સમય બાકી છે. ભાજપે વધુ બેઠકો મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. સૌરાષ્ટ્રમાં પાટિદાર સમાજનો ઘણીબધી બેઠકો પર સારોએવો પ્રભાવ છે. ત્યારે પાટિદાર સમાજને રિઝવવા માટે તમામ પક્ષો પ્રયાસો કરી રહ્યા છે. પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશ પટેલે અન્ય ટ્રસ્ટીઓ સાથે દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોડલધામની મુલાકાત લઈને ધજા ચડાવવાનું આમંત્રણ આપ્યુ છે. આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલની વડાપ્રધાન સાથેની મુલાકાતથી ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ટાર્ગેટ પુરો કરી શકશે.
રાજકોટ શહેરમાં ભાજપનું નવું કાર્યાલય કમલમ તૈયાર થતા ધનતેરસે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રિબીન કાપી ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે પાટીલે ખોડલધામના નરેશ પટેલ અને વડાપ્રધાનની મુલાકાતને લઈને નિવેદન આપ્યું હતું કે, નરેશ પટેલની વડાપ્રધાન સાથેની મુલાકાતથી ભાજપને ફાયદાની આવશ્યકતા નથી. ભાજપના કાર્યકર્તાઓ ખૂબ જ મજબૂત છે. આવડી મોટી ધાર્મિક સંસ્થા ખોડલધામના અધ્યક્ષ પ્રધાનમંત્રીને મળે તેનાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાર્યકરો જે ટાર્ગેટ સાથે ચાલે છે તે પૂર્ણ કરવામાં મદદ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ભાજપના કાર્યાલય કમલમના લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યો છું. કદાચ આખા દેશમાં સૌથી સુંદર વ્યવસ્થાવાળુ આ કાર્યાલય છે. વડાપ્રધાન સાથે નરેશ પટેલની મુલાકાત ભાજપને એટલા માટે આવશ્યકતા નથી કે, ભાજપના કાર્યકર્તાઓ બહુ મજબૂત છે. પણ સાથેસાથે નરેશ પટેલ સામાજિક-ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા એક અધ્યક્ષ છે. એક નિષ્ઠા છે. આવી સંસ્થાના વડા પણ જ્યારે આજે વડાપ્રધાનને મળ્યા છે ત્યારે અમને લાગે છે કે, ચૂંટણીમાં અમારા કાર્યકર્તાઓ જે ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે તે પૂર્ણ થશે.
તેમણે ઉમેર્યું હતું કે, નવા બનેલા કાર્યાલયમાં મારી પણ એક ચેમ્બર બનાવવામાં આવી છે. ચેમ્બર બહાર સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ નામની પ્લેટ મેં કઢાવી નાખી છે. માત્ર પ્રદેશ અધ્યક્ષ જ રાખો, કારણ કે આ તો એક મ્યુઝિકલ ચેર છે, લોકો આવતા રહેવાના અને જતા રહેવાના. ટિકિટની વહેચણીમાં નારાજગીને કારણે ટિકિટની વહેચણી નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરવાના છે.
આ પ્રસંગે વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, હવાઈ ગયેલા ફટાકડાની જેમ અવાજ ન કરો, આગળની ખુરશીમાં બેસવા માટે બીજાને કોણીઓ મારવાનું બંધ કરજો. તાળીઓ પાડવાથી કામ નહીં થાય, 182 સીટ જીતવા અથાગ પ્રયત્નો કરવા પડશે. દિવાળીના દિવસોમાં વધુમાં વધુ લોકો મળે ત્યારે ભાજપ માટે સંદેશો આપવાનો છે. બેસણું હોય કે ઉઠમણું હોય ત્યાં અચૂક જવાનું છે. ત્યાં જઈ ભાજપની વિચારધારાને પ્રબળ બનાવવા પ્રયત્નો કરવાના છે.
પ્રદેશના હોદ્દેદારો, શહેરના આગેવાનો અને પદાધિકારીઓની હાજરીમાં ભાજપનો નવો ગૃહપ્રવેશ કરવામાં આવ્યો હતો. દાયકાઓ જૂના કરણપરા કાર્યાલયમાંથી પક્ષનું 150 ફૂટ રીંગ રોડ પર સ્થળાંતર થઈ રહ્યું છે ત્યારે જૂનું કાર્યાલય પણ સ્થાનિક કક્ષાએ ચાલુ રહેશે. વિશાળ ઓડિટોરીયમ અને વીડિયો હોલ સાથેનું આ સૌરાષ્ટ્રનું પ્રથમ કાર્યાલય છે. જેમાં વિવિધ મોરચાથી માંડી પ્રદેશ પ્રમુખ સુધીની ચેમ્બર બનાવવામાં આવી છે. 2250 વારમાં કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.