જમ્મુ-કાશ્મીરના કિશ્તાડ અને ડોડા જિલ્લામાં ભારે વરસાદથી પૂર-ભૂસ્ખલન
શ્રીનગર, 6 જુલાઈ, 2026 – જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન પણ જોવા મળ્યું છે. કિશ્તવાડમાં 540 MW ના ક્વાર પાવર પ્રોજેક્ટ પાસે ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાની (લેન્ડસ્લાઈડ) મોટી ઘટના બની છે. અહીં ભૂસ્ખલનને કારણે કેટલીક ગાડીઓ કાટમાળ નીચે દબાઈ ગઈ છે. ઘણી ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું છે અને તે કાટમાળ નીચે ફસાયેલી છે. ફસાયેલી ગાડીઓને બહાર કાઢવા અને પ્રભાવિત વિસ્તારને સરખો કરવા માટે કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે.
કાટમાળમાં ફસાયેલી ગાડીઓ
અધિકારીઓએ જણાવ્યું કે સોમવાર સવારે કિશ્તવાડ જિલ્લામાં 540 MW ના ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ પાસે ભારે વરસાદના કારણે જબરદસ્ત ભૂસ્ખલન થયું, જેનાથી ઘણી ગાડીઓ ભારે કાટમાળ નીચે દબાઈ ગઈ અને ઘણું નુકસાન થયું. અધિકારીઓએ જણાવ્યું કે ભૂસ્ખલનની ઝપેટમાં કેટલીક ગાડીઓ આવી ગઈ અને તેમાંથી ઘણી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. કાટમાળને હટાવવા, પ્રભાવિત ગાડીઓને બહાર કાઢવા અને વિસ્તારમાં અવરજવર પુનઃસ્થાપિત કરવા માટે બચાવ દળ અને ભારે મશીનરીને કામે લગાડવામાં આવી છે.
ડોડામાં પણ ભારે વરસાદ
બીજી તરફ સતત વરસાદના કારણે પૂર આવતાં ડોડા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે ડોડા જિલ્લામાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને કેટલીક જગ્યાએ નુકસાન થયું છે. જો કે, કોઈને ઈજા થવાના કે અન્ય કોઈ નુકસાનના તાત્કાલિક સમાચાર નથી. હાલમાં અધિકારીઓ સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે, જ્યારે પ્રભાવિત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને બચાવ કાર્ય ચાલુ છે.
ડોડા-કિશ્તવાડ માર્ગ બંધ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના પ્રેમ નગર વિસ્તારમાં આજે સોમવારે સવારે થયેલા ભારે વરસાદના કારણે ડોડા-કિશ્તવાડ માર્ગ ભૂસ્ખલન અને કાટમાળ આવવાથી બંધ થઈ ગયો છે. સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.
રસ્તા પર મોટા પ્રમાણમાં કાટમાળ અને પથ્થરો પડવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોની મશીનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે તથા માર્ગને વહેલામાં વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે રાહત અને સફાઈ કામગીરી ચાલુ છે.
વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે હવામાન સામાન્ય ન થાય અને માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળે તથા પ્રવાસ પર નીકળતા પહેલા રસ્તા અને હવામાનની તાજી માહિતી ચોક્કસ મેળવી લે. સતત થઈ રહેલા વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો બનેલો છે, તેથી સ્થાનિક લોકો અને મુસાફરોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.


