કચ્છઃ હરામીનાળા વિસ્તારમાંથી BSFએ 9 પાકિસ્તાની બોટ પકડી
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ બોર્ડરથી જોડાયેલો છે. અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવાની ઘટના સામે આવે છે. અગાઉ પણ આતંકવાદી પ્રવૃતિ માટે પાકિસ્તાને ભારતીય જળસીમાનો ઉપયોગ કર્યો છે. દરમિયાન કચ્છના હરામીનાળામાંથી એક-બે નહીં પરંતુ 9 જેટલી પાકિસ્તાની બોટ પકડાતા ખળભળાટ મચી ગયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સુરક્ષા એજન્સીઓ કચ્છમાં સરહદી જિલ્લામાં પેટ્રોલીંગ કરતી હતી. દરમિયાન કુખ્યાત હરમીનાળા સરહદી વિસ્તારમાંથી 9 જેટલી પાકિસ્તાની બોટ પકડાઈ હતી. એક સાથે 9 જેટલી પાકિસ્તાની બોટ ઝડપાતા બીએસએફના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ હરામીનાળા વિસ્તારમાં બીએસએફ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાની બોટ સાથે કોઈ પકડાયું છે કે, કેમ તે જાણી શકાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ જાય છે. તાજેતરમાં જ 50થી વધારે માછીમારોનું અપહરણની ઘટના બની હતી. હવે હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટો મળી આવતા સુરક્ષા એજન્સીઓએ વધારે સતર્ક બની છે.