1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિહોરમાં દીપડાંના આંટાફેરા વધ્યા, ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય
સિહોરમાં દીપડાંના આંટાફેરા વધ્યા, ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય

સિહોરમાં દીપડાંના આંટાફેરા વધ્યા, ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય

0
Social Share

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાંનો ત્રાસ વધતો જાય છે. જેમાં બે દિવસમાં તો દીપડો શહેરની છેવાડાની સોસાયટીઓ સુધી પહોંચી ગયો હતો. અને ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય વ્યાપી ગયો છે. ડુંગર વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધી ગયા છે. જેના લીધે ડુંગર પર બિરાજમાન સિહોરી માતાજીના દર્શન માટે ગામ-પરગામથી આવતા યાત્રાળુંઓ પણ ભય અનુભવી રહ્યા છે. આ અંગે વન વિભાગને પણ રજુઆત કરીને દીપડાને પકડવા માટે પાંજરા મુકવાની માગ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના સિહોરમાં બે દિવસ પૂર્વે સિહોરી માતાના ડુંગર પાસે દીપડાએ દેખા દીધા હતા અને સિહોરના પાદરમાં દીપડો આવી જતાં નગરજનો ભયભીત બની ગયા હતા ત્યાર બાદ ગઈકાલે વહેલી સવારના સમયે ગૌતમેશ્વર મંદિર પાસેના હવેડામાં  દીપડો પાણી પીતો દશ્યમાન થયો હતો અને એક ગાયનું  મારણ પણ કર્યુ હતુ. સિહોરના પાદરમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે અને ત્રણ દિવસમાં બે પશુના મારણ કરતાં પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાલુકાના ધ્રુપકા, ખાંભા, સાગવાડી,સર, તરશિંગડા સહિતના ગામોમાં પણ દીપડાં અવારનવાર પશુઓનું મારણ કરતા હોય છે. દીપડાના ભયને લીધે ગ્રામજનો પોતાના વાડી-ખેતરમાં જતાં પણ ડર અનુભવી રહ્યા છે.  વાડી વિસ્તારમાં અનેક લોકો પશુઓ અને પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. સિહોર પંથકના વાડી વિસ્તારમાં દીપડાની આવન-જાવનથી પશુપાલકો અને ધરતીપુત્રો ભયથી ચિંતાતુર બની ગયા છે. હાલમાં ખેતીની પણ ભરપૂર સીઝન ચાલી રહી છે. ત્યારે વન વિભાગે પાંજરા મુકીને દીપડાને પકડવા જોઈએ તેવી માગ ઊઠી છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code