સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ મતદાન અંગે જાગૃતિ લાવવા ચૂંટણીપંચનો નવતર પ્રયોગ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન વધે તે દિશામાં ચૂંટણીપંચ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ લોકોને મતદાન અંગે જાગૃત કરવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન પોરબંદરમાં મતદાનને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે મોટા ફળ ઉપર સ્ટીકર લગાવવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરમાં વધુને વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. લીલા નાળીયેર અને તરબુચ પર સ્ટીકરો લગાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. લીલા નાળીયેર જેવા ફળો પર મતદાન જાગૃતિ અંગેના સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. ફળના વેપારીઓએ ચૂંટણીપંચની આ કામગીરીમાં જોડાયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન વધે તેવા પણ ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.