મૈનપુરી: હિટ એન્ડ રનને લઈને બનાવામાં આવેલા નવા કાયદા વિરુદ્ધ ટ્રક અને બસચાલકોની હડતાળ યુપીના મૈનપુરીમાં હિંસક બની ગઈ. આ હડતાળિયા ડ્રાયવરો અને પોલીસની વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વણસ્યો હતો. આ દરમિયાન ડ્રાયવરોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. તેના કારણે પોલીસને લાઠી ચાર્જ કરવા પડયો હતો. આમ છતાં મામલો થાળે નહીં પડતા પોલીસે પહેલા ટિયરગેસના સેલ છોડયા અને બાદમાં હવામાં ફાયરિંગ પણ કર્યું. પથ્થરમારો અને લાઠીચાર્જમાં કેટલાક પોલીસકર્મીઓ અને ઘણાં ડ્રાયવરોના ઘાયલ થવાના પણ અહેવાલ છે. વરિષ્ઠ અધિકારી મામલાને શાંત કરવામાં લાગેલા છે. જો કે અધિકારી ફાયરિંગથી ઈન્કાર કરી રહ્યા છે.
મૈનપુરી જિલ્લામાં કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ બીજા દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન ટ્રક ડ્રાયવરોએ સડક જામ કરવાની કોશિશ કરી. પોલીસે જામ ખોલાવ્યો તો મામલો ઉગ્ર થઈ ગયો. આક્રોશિત ટ્રક ડ્રાયવરોની ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો. આ દરમિયાન પોલીસે સ્થિતિને કાબુમાં કરવા માટે ટિયરગેસના સેલ છોડયા. સ્થિતિ અનિયંત્રિત થતી જોઈને હવાઈ ફાયરિંગ કર્યું.
પોલીસનું કહેવું છે કે કરહલ બાઈપાસ માર્ગ પર જામ દરમિયાન દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો અને અન્ય વાહનચાલકોએ જામ લગાવ્યો હતો. જાણકારી બાદ પહોંચેલી પોલીસ સાથે પણ ઘર્ષણ થયું. પોલીસે દેખાવો કરનારાઓ પર લાઠીચાર્જ કર્યો. જાણકારી બાદ કરહલ પોલીસ સ્ટેશનની સાથે ધિરોર અને ધન્નાહર પોલીસ ક્ષેત્રની ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
શા માટે વિરોધ કરી રહ્યા છે ડ્રાયવર?
કેન્દ્રની મોદી સરકારે રોડ રેઝ અને હિટ એન્ડ રન કરીને ભાગનારાઓ વિરુદ્ધ કાયદામાં મોટા પરિવર્તન કર્યાછે. નવા કાયદા પ્રમાણે, જો કોઈ રોડ એક્સિડેન્ટ કરીને ભાગી જાય છે અને ઘાયલને સડક પર જ છોડી દેવામાં આવે છે, તો તેને 10 વર્ષની સજા થશે અને 7 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જો કે માનવીયતા દેખાડવા પર કેટલીક રાહતોની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો એક્સિડેન્ટ કરનાર ડ્રાયવર ઘાયલને હોસ્પિટલ સુધી પહોંચાડે છે, તો તેની સજા ઘટાડવામાં આવશે. સરકારનું કહેવું છે કે આનાથી મોતની સંખ્યામાં ઘટાડો થશે અને લોકોને યોગ્ય સમયે ઉપચાર મળી શકશે.
આ કાયદા વિરુદ્ધ બસ અને ટ્રક ચાલકો હડતાળ કરી રહ્યા છે. મંગળવારે હડતાળનો બીજો દિવસ છે. દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, યુપી, બિહાર, પંજાબ, ગુજરાત, હિમાચલ પ્રદેશમાં ટ્રક ડ્રાયવરોએ ચક્કાજામ કર્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે દેશમાં 95 લાખ ટ્રક અને ટેન્કર્સ છે. તેમાંથી 30 લાખથી વધુ ટ્રક અને ટેન્કરોની સેવાઓ ઠપ્પ થઈ ચુકી છે. ડ્રાયવરોનું કહેવું છે કે દરેક વખતે અકસ્માતમાં તેમની ભૂલ હોતી નથી. જો તેઓ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામા માટે રોકાશે, તો મોબ લિંચિંગનો ભોગ બની શકે છે. માટે તેઓ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.