ચમકતી ત્વચા માટે વરદાન સમાન છે કેરી: કોલેજન વધારીને વધતી ઉંમરની કરચલીઓ અટકાવશે
ગ્લાસ સ્કીન એટલે કે કાચ જેવી સાફ અને ચમકતી ત્વચા મેળવવા માટે લોકો બજારમાં મળતા હજારો રૂપિયાના મોંઘા પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરી નાખતા હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ત્વચાની ખરી સુંદરતા પાછળ આપણું આંતરિક સ્વાસ્થ્ય જવાબદાર છે. હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા એવો ખોરાક લેવાની સલાહ આપે છે, જેમાં પોષક તત્વો ભરપૂર હોય અને ત્વચાને કુદરતી હાઇડ્રેશન પૂરું પાડે. ઉનાળાની આ સિઝનમાં ફળોનો રાજા ‘કેરી’ ત્વચાને નેચરલી ગ્લોઇંગ (ચમકતી) બનાવવામાં અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. કેરીમાં રહેલું વિટામિન-સી ત્વચાનો રંગ નિખારવા માટે રામબાણ ઈલાજ છે.
NCBIના એક રિપોર્ટ અનુસાર, જો શરીરમાં કેરીના માધ્યમથી વિટામિન-સી યોગ્ય માત્રામાં પહોંચે, તો તે શરીરમાં ‘કોલેજન’નું ઉત્પાદન ઝડપથી વધારે છે. કોલેજન એક એવું પ્રોટીન છે જે ત્વચામાં કસાણ (ટાઇટનેસ) અને ચમક લાવે છે. જો શરીરમાં તેનું પ્રમાણ યોગ્ય હોય, તો નાની ઉંમરે દેખાતી વૃદ્ધત્વની અસરો એટલે કે પ્રી-મેચ્યોર એજિંગથી બચી શકાય છે. જે લોકોને ચહેરા પર કરચલીઓ કે કાળા ડાઘ-ધબ્બા (ઝાઇયાં) પડી ગયા હોય, તેમના માટે કોલેજન વધારવાથી આ સમસ્યાઓ દૂર થવા લાગે છે. આપણા શરીરમાં આશરે ૩૦ ટકા કોલેજન પ્રોટીન હોય છે. નિષ્ણાતોના મતે ૨૫ વર્ષની ઉંમર પછી શરીરમાં તેનું ઉત્પાદન ધીમે-ધીમે ઘટવા લાગે છે. સ્મોકિંગ, વધુ પડતી ખાંડ ખાવાની આદત અને ખરાબ લાઇફસ્ટાઇલ તેને વધુ ઝડપથી ઘટાડે છે.
બજારમાં સરળતાથી અને સસ્તા ભાવે મળતી કેરી જો રોજિંદા આહારમાં યોગ્ય માત્રામાં લેવામાં આવે, તો તેનાથી શરીરમાં વિટામિન-સીનું સ્તર ખૂબ સારું રહે છે, જે કોલેજન વધારવામાં સીધી મદદ કરે છે. આ ઉપરાંત કેરીમાં વિટામિન-એ, ફાઇબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા અનેક જરૂરી તત્વો મળી આવે છે. ત્વચા માટે તેનો મોટો ફાયદો એ છે કે તે શરીરમાં પાણીનું સ્તર (હાઇડ્રેશન) જાળવી રાખે છે, જેનાથી ત્વચા શુષ્ક થતી નથી અને કુદરતી ગ્લો જળવાઈ રહે છે.
-
કેરી ખાવાની સાચી રીતો અને યોગ્ય સમય:
કેરીના ટુકડા (સ્લાઇસ) કરીને ખાવા: કેરી ખાવાની સૌથી શ્રેષ્ઠ અને કુદરતી રીત એ છે કે તેને પ્લેટમાં કાપીને સીધી જ ખાવી. ભારતમાં કેરીની અસંખ્ય સ્વાદિષ્ટ જાતો ઉપલબ્ધ છે. કેરી ખાવાનો સૌથી બેસ્ટ સમય સવારના નાસ્તા અને બપોરના ભોજનની વચ્ચેનો (મિડ-મોર્નિંગ) અથવા સાંજે ૪ વાગ્યાનો છે. નિષ્ણાતોના મતે, રાત્રે ભારે ભોજન કર્યા પછી કેરી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પાચનની સમસ્યા થઈ શકે છે.
મેંગો શેક : ઘણા લોકો ઉનાળામાં મેંગો શેક પીવાનું ખૂબ પસંદ કરે છે. જો કે આયુર્વેદમાં દૂધ અને ખાટા ફળોના મિશ્રણને વિરુદ્ધ આહાર ગણાવી મનાઈ કરવામાં આવી છે, પરંતુ જો કેરી સંપૂર્ણ પાકેલી અને મીઠી હોય તો મર્યાદિત માત્રામાં શેક પી શકાય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે તમે તેમાં ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો.
અન્ય વિકલ્પો: તમે કેરીને આમ પન્ના (કાચી કેરીનું શરબત), અથાણું કે ચટણીના સ્વરૂપમાં પણ ડાયટનો હિસ્સો બનાવી શકો છો.
ન્યુટ્રિશનિસ્ટની સલાહ: કેરી સ્વાસ્થ્ય અને ત્વચા માટે અત્યંત ગુણકારી છે, પરંતુ તે ગરમ પ્રકૃતિ ધરાવતી હોવાથી તેનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં જ કરવું હિતાવહ છે. અતિરેક કરવાથી ચહેરા પર ખીલ થવાની સંભાવના રહે છે.


