1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં એક કરોડ કરતા વધુ લોકોએ કોરોનાની વેક્સિન લીધી છતાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતા પાછળ

ગુજરાતમાં એક કરોડ કરતા વધુ લોકોએ કોરોનાની વેક્સિન લીધી છતાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતા પાછળ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની વેક્સિન લેવામાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાગૃતતા આવતી જાય છે. શહેરી વિસ્તારોમાં તો સરકારે હાઉસિંગ સોસાયટીઓમાં સામે જઈને વેક્સિનન આપવાની સુવિધા આપી છે. એટલે રાજ્યમાં વેક્સિન લેનારાની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 1,31,826 લોકોને રસી આપવામાં આવી હતી, આ સાથે રાજ્યમાં રસી મેળવનારાની કુલ સંખ્યા 1 કરોડને પાર થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધી 87 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે, જ્યારે બીજો ડોઝ પણ લઈ લીધો હોય એવા લોકોની સંખ્યા 13 લાખથી વધારે છે. ગુજરાતમાં વેક્સિન લેનારાની સંખ્યા ભલે એક કરોડથી વધુ હોય છતા મહારાષ્ટ્ર અને રાજસ્થાન ગુજરાત કરતા આગળ છે.

સરકારે લોકો કોરોનાની વેક્સિન લેતા થાય તે માટે ટીકા અભિયાન પણ શરૂ કર્યુ હતું ગુજરાત સરકારે દૈનિક 2.5 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનાના શરૂઆતમાં દૈનિક 3થી 4 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી હતી, પરંતુ હાલમાં સ્પીડ પાછી ધીમી પડી ગઈ છે અને સરકારના ટાર્ગેટ કરતાં પણ ઓછું વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતમા દૈનિક 1થી 2 લાખની આસપાસ વેક્સિનેશન થાય છે. એપ્રિલના શરૂઆતના પહેલા 15 દિવસ જોઈને લાગતું હતું કે ગુજરાત ટૂંક સમયમાં વેક્સિનેશન મામલે નંબર 1 પર આવી જશે, પરંતુ હાલની સ્થિતિમાં રાજ્ય 2 નંબરથી 4 નંબર પર આવી ગયું છે.  હાલમાં દેશભરમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં કુલ 1,15,12,728 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યાર બાદ બીજા નંબર પર રાજસ્થાન આવે છે, જ્યાં કુલ 1,03,60,331 લોકોએ વેક્સિન લઈ લીધી છે.

જ્યારે ગુજરાત 1,00,28,842 લોકોના વેક્સિનેશન સાથે 4 નંબર આવી ગયું છે. મહારાષ્ટ્રમાં દૈનિક અંદાજે 3 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં દૈનિક 2.5 ટકા લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે છતાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં દૈનિક 1થી 2 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી છે. ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે, સાથે જ વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઈ છે. આગામી દિવસોમાં કોઈપણ ભોગે કોરોનાને ફરી કાબૂમાં લઈ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. કૈલાસનાથને રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. તેઓ નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે.

સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટો નિર્ણય લીધો હતો, જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે અને કર્મચારીની કોઈપણ વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. દરમિયાન એક એપ્રિલથી શરૂ થનાર કોરોના વેક્સિન મેગા ડ્રાઈવની પૂર્વસંધ્યાએ સીએમએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રસી અને માસ્ક જરૂરી છે, કોરોના સામે રસી જ મોટું શસ્ત્ર છે, એક એપ્રિલથી 2500 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code