એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવના સુર બદલાયા, કહ્યું – ટૂંક સમયમાં વેક્સિન લેશે
- એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવને સુર બદલાયા
- બાબા રામદેવે કહ્યું કે હવે તેઓ ટૂંક સમયમાં વેક્સિન લેશે
- બાબા રામદેવે થોડાક સમય પહેલા વેક્સિનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા
નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ યોગગુરુ બાબા રામદેવના સૂર હવે બદલાયા છે. બાબા રામદેવ હવે વેક્સિનનું સમર્થન કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં બાબા રામદેવ વેક્સિનની વિશ્વસનીયતા પર સવાલ કરી રહ્યા છે. પરંતુ હવે બાબા રામદેવે કહ્યું છે કે, તેઓ જલ્દી જ વેક્સિન લેશે.
આ ઉપરાંત બાબા રામદેવે કહ્યું છે કે, યોગ કોરોનાથી થતી જટિલતાથી બચાવે છે. યોગ અને આયુર્વેદનો અભ્યાસ કરો. PM મોદીએ 21 જૂનથી ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે. ત્યારે બાબા રામદેવે કહ્યું છે કે, દવા જ નહીં, ટેસ્ટ અને ઑપરેશન માફિયાઓ પણ દર્દીઓને લૂંટી રહ્યા છે.
રામદેવે વધુમાં ઉમેર્યુ હતું કે, તેની લડાઇ ખોટા કામ કરનારા લોકો સામે છે. તે ફેસબૂક અને ટ્વીટર પર જેનેરિક દવાનું લીસ્ટ મૂકશે. જે દવા માતર્ 2 રૂપિયામાં વેચાય છે. જ્યારે બ્રાન્ડેડ કંપનીઓની દવા અનેકગણી મોંઘી છે.
રામદેવે આરોપ લગાવ્યો હતો કે, બ્રાન્ડેડ કંપનીની દવા લખનારા ડૉક્ટરો કમીશન ખાય છે. જેનેરિક દવા ના લખીને સાલ્ટની મોંઘી દવા જ લખે છે. તેમનો આ ખેલ બંધ કરાવવા માટે કોર્ટ પણ જશે તેવું રામદેવે કહ્યું હતું.
આપને જણાવી દઇએ કે ઇન્ડિયન મેડિકલ એસોસિશને યોગગુરુ બાબા રામદેવ વિરુદ્વ ICMRને પત્ર લખ્યો છે. IMAએ પત્રમાં બાબા રામદેવ પર બિનજરૂરી રીતે આધુનિક દવાનો અપમાન કરવાનો તેમજ ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો છે.
IMAએ પત્રમાં લખ્યું છે કે, બાબા રામદેવ જાહેરમાં નિવેદનો આપીને ડૉક્ટરો તેમજ આધુનિક દવાઓની મજાક ઉડાવી રહ્યા છે. તેઓ ICMR દ્વારા તૈયાર કરાયેલા જીવન બચાવના પ્રોટોકોલની મજાક ઉડાવી રહ્યા છે.