- ભારતમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે IITના પ્રોફેસરનો દાવો
- ત્રીજી લહેર બીજી લહેર કરતાં ઓછી ઘાતક નિવડશે
- જો કે તકેદારીના દરેક પગલાં આવશ્યક છે
નવી દિલ્હી: ભારતમાં ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે ત્યારે આ વચ્ચે IIT કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે. પ્રોફેસરે ગણીતના મોડલને આધારે દાવો કર્યો છે કે ત્રીજી લહેર બીજી લહેર કરતાં ઓછી ઘાતક નિવડશે.
કોરોનાની પહેલી લહેરના કેસ, જનસંખ્યા અને રોગપ્રતિકારક શક્તિના સ્તરને આધાર બનાવીને પ્રોફેસરે આ દાવો કર્યો છે. આપને જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાની તેમની આગાહી પણ સાચી પડી છે.
આ વચ્ચે AIIMSના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઇને લોકોના સચેત અને સતર્ક રહેવાની સૂચના આપી છે. તેમણે કહ્યું કે, જો બધા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા તો હવે પછીની ત્રીજી લહેર બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક હશે. તેમણે કહ્યું કે, લોકોમાં ઓછી ઇમ્યુનિટી અને લોકડાઉન પરથી પ્રતિબંધ હટાવી લેવાય તો ત્રીજી લહેરનું કારણ બની શકે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, એક ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાના રિપોર્ટ પરથી એ તારણ નીકળ્યું છે કે જો લોકડાઉન પરના પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને વાયરસનું સ્વરૂપ પણ ઇમ્યુનિટીને નબળી કરી નાખે તેવું થઇ જાય તો બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક લહેર દેશમાં આવશે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને રસીકરણ જેવી બધી જ બાબતોનું ધ્યાન રાખવાથી કોરોના સંક્રમણને કાબૂમાં રાખી શકાય છે.